GUJARAT : સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસનો શંખનાદ.રાજીવ ગાંધી ભવન ખાતે વ્યૂહાત્મક બેઠકો, સંગઠન સાથે સશક્ત લડતનો સંકલ્પ

0
19
meetarticle

• આવનારી ચૂંટણીમાં સંગઠન, આગેવાનો અને કાર્યકરો વચ્ચે સમન્વય સાથે મજબૂત વ્યૂહરચના બનાવીને પક્ષ મેદાનમાં ઉતરશે : શ્રી મુકુલ વાસનીક
• જન આક્રોશ યાત્રા, કોંગ્રેસ આપના દ્વાર સહિતના કાર્યક્રમો દ્વારા કોંગ્રેસે પ્રજાના પ્રશ્નોને સીધા લોકો વચ્ચે લઈ જઈ રાજ્ય સરકાર સામે જનતાના આક્રોશને વાચા આપી છે : શ્રી અમિત ચાવડા
• આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સમાજના સારા, નિષ્ઠાવાન અને પ્રામાણિક લોકોને રાજકારણમાં આવવા કોંગ્રેસ દ્વારા વિશેષ પહેલ કરવામાં આવી છે : શ્રી અમિત ચાવડા
• મોંઘવારીથી ગૃહિણીઓ પરેશાન, બેરોજગારીથી યુવાનો વ્યથિત અને ગેસ સિલિન્ડર માટે લોકો લાઈનમાં ઊભા રહેવાની પરિસ્થિતિ – રાજ્યની જનતામાં ભારે અસંતોષ : શ્રી અમિત ચાવડા
• પ્રજાના સમર્થન અને કાર્યકરોની શક્તિ સાથે કોંગ્રેસ પક્ષ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સશક્ત રીતે મેદાનમાં ઉતરવા સંપૂર્ણ રીતે સજ્જ છે : શ્રી અમિત ચાવડા
• જન આક્રોશ યાત્રા દરમિયાન સમગ્ર રાજ્યમાં સરકાર વિરુદ્ધ નારાજગી, ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ સામેનો અસંતોષ સ્પષ્ટ રીતે જોવા મળ્યો; આ લહેર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને મોટી સકારાત્મક અસર આપશે : ડૉ. તુષારભાઈ ચૌધરી

આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને અનુલક્ષીને આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે વિવિધ મહત્વપૂર્ણ કમિટીઓની વ્યૂહાત્મક બેઠકો યોજાઈ હતી. ચૂંટણી માટે સંગઠનાત્મક તૈયારીઓ, ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેમજ સમગ્ર રાજ્યમાં પ્રચારની વ્યૂહરચના અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહામંત્રી તથા ગુજરાત પ્રદેશના પ્રભારી શ્રી મુકુલ વાસનિકજીએ જણાવ્યું હતું કે, આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ કોંગ્રેસ પાર્ટી માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને આ ચૂંટણીમાં સંગઠન, આગેવાનો અને કાર્યકરો વચ્ચે સમન્વય સાથે મજબૂત વ્યૂહરચના બનાવીને મેદાનમાં ઉતરવામાં આવશે. રાજ્યભરમાં વિવિધ કમિટીઓની રચના કરીને ચૂંટણી માટે સચોટ આયોજન કરવામાં આવી રહ્યું છે. સ્ટ્રેટેજી કમિટી, કેમ્પેઈન કમિટી, પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન કમિટી, ઇલેક્શન મેનેજમેન્ટ કમિટી, મેનીફેસ્ટો કમીટી, મીડિયા કમીટી તથા પબ્લિસિટી કમિટી સહિત તમામ કમિટીઓ સંગઠિત રીતે કાર્ય કરી રહી છે અને આજની બેઠકોમાં દરેક કમિટીના કાર્ય અને આગામી કાર્યક્રમો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે.


ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સમાજના સારા અને પ્રામાણિક લોકોને રાજકારણમાં આવવા પ્રોત્સાહિત કરવા માટે વિશેષ પહેલ કરી છે. મહાનગરોમાં QR કોડના માધ્યમથી અરજી કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી જાહેર જીવનમાં કાર્યરત, પ્રજાના પ્રશ્નો માટે સંઘર્ષ કરતા અને કોંગ્રેસની વિચારધારા સાથે જોડાઈ ચૂંટણી લડવા ઇચ્છુક લોકો સીધી રીતે અરજી કરી શકે. સાથે સાથે સંગઠનના માધ્યમથી દરેક શહેર, જિલ્લા અને તાલુકા સ્તરે સંભવિત ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે.


છેલ્લા સમયમાં કોંગ્રેસ પાર્ટીએ રાજ્યભરમાં પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરવા માટે વ્યાપક કાર્યક્રમો હાથ ધર્યા છે. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ઉમેદવારોની પસંદગી માટે વ્યાપક પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને પ્રદેશના નિરીક્ષકોની ઉપસ્થિતિમાં શહેર, જિલ્લા અને તાલુકા સ્તરે સંભવિત ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા ચાલી રહી છે. 20 માર્ચ સુધી આ પ્રક્રિયા પૂર્ણ કરીને જિલ્લા ચૂંટણી સમિતિ તથા પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા પેનલ તૈયાર કરવામાં આવશે અને ચૂંટણીની જાહેરાત થાય તે સાથે જ ઉમેદવારોની અંતિમ પસંદગી જાહેર કરવામાં આવશે.


રાજ્યમાં ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના કારણે વિકાસના કામોની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ક્યાંક બ્રિજ તૂટી પડવાના બનાવો બન્યા છે તો ક્યાંક પાણીની ટાંકીમાં ખામીઓ સામે આવી છે અને વરસાદ પડતા જ રસ્તાઓ ધોવાઈ જવાના બનાવો નોંધાયા છે. મોંઘવારીના કારણે ગૃહિણીઓ પરેશાન છે, ગેસ સિલિન્ડર માટે લોકોને લાઈનોમાં ઊભા રહેવું પડે છે અને કાળાબજારીની ફરિયાદો પણ સામે આવી રહી છે. બીજી તરફ યુવાનો પોતાના પ્રશ્નોને લઈને સંઘર્ષ કરી રહ્યા છે અને રાજ્યની કોલેજોમાં ડ્રગ્સની સમસ્યા ચિંતાજનક બની રહી હોવાનું પણ જણાવાયું હતું.


વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, જનાક્રોશ યાત્રા અને કિસાન આક્રોશ યાત્રાના માધ્યમથી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં આશરે 50 દિવસ દરમિયાન 5,000 કિલોમીટરથી વધુનું ભ્રમણ કરવામાં આવ્યું હતું. આ યાત્રા દરમિયાન પ્રજામાં રાજ્ય સરકાર સામે ઊભી થયેલી નારાજગી, ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ અંગેનો અસંતોષ સ્પષ્ટ રીતે સામે આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું અને આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આની કોંગ્રેસની તરફેણમાં મોટી સકારાત્મક અસર જોવા મળશે.


સ્ટ્રેટેજી કમિટીના ચેરમેનશ્રી ભરતસિંહ સોલંકી, વાઈસ ચેરમેન શ્રી લાલજીભાઈ દેસાઈ, કન્વીનર ડૉ. હેમાંગ વસાવડા, કેમ્પેઈન કમિટીના ચેરમેનશ્રી શક્તિસિંહ ગોહિલ, વાઈસ ચેરમેનશ્રી પરેશભાઈ ધાનાણી, કન્વીનરશ્રી ગેનીબેન ઠાકોર, પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન કમિટીના ચેરમેનશ્રી જગદીશભાઈ ઠાકોર, વાઈસ ચેરમેનશ્રી ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, કન્વીનરશ્રી હિંમતસિંહ પટેલ, ઇલેક્શન મેનેજમેન્ટ કમિટીના ચેરમેનશ્રી સિદ્ધાર્થભાઈ પટેલ, વાઈસ ચેરમેનશ્રી જીગ્નેશભાઈ મેવાણી, કન્વીનરશ્રી બિમલભાઈ શાહ, મેનીફેસ્ટો કમીટીના ચેરમેનશ્રી શૈલેષભાઈ પરમાર, વાઈસ ચેરમેનશ્રી રૂત્વીકભાઈ મકવાણા, કન્વીનર ડૉ. મનિષ દોશી, મીડિયા કમીટીના ચેરમેન ડૉ. અમી યાજ્ઞિક, વાઈસ ચેરમેનશ્રી લલીતભાઈ કગથરા, કન્વીનરશ્રી ગ્યાસુદ્દીન શેખ તથા પબ્લિસિટી કમિટીના ચેરમેનશ્રી કદીરભાઈ પીરઝાદા, વાઈસ ચેરમેનશ્રી અનંતભાઈ પટેલ અને કન્વીનરશ્રી ચેતનભાઈ રાવલ સહીતના ઉપસ્થિત કમિટીના સભ્યોએ સંયુક્ત રીતે સંકલ્પ કરતા જણાવ્યું હતું કે સર્વે આગેવાનો, કાર્યકરો પ્રજાના સમર્થન સાથે કોંગ્રેસ પક્ષ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સશક્ત રીતે મેદાનમાં ઉતરવા માટે સંપૂર્ણ રીતે સુસજ્જ છે.

હેમાંગ મહીપતરામ રાવલ
મીડિયા કોર્ડિનેટર અને પ્રવક્તા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here