IPL 2026ની સીઝન શરૂ થાય તે પહેલા જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીએ પોતાની ટીમના સાથી ખેલાડીઓને સાવધ કરી દીધા છે. આરસીબીના પ્રથમ ટ્રેનિંગ સેશન દરમિયાન કોહલીએ ખેલાડીઓમાં જોશ ભરતા જણાવ્યું હતું કે, ગત વર્ષે ચેમ્પિયન બન્યા બાદ હવે ટીમ પર દબાણ વધશે અને આ સીઝન વધુ મુશ્કેલ બની રહેશે. તેણે ભારતીય ખેલાડીઓને સંબોધતા કહ્યું કે, આપણે ગત સીઝનમાં ખૂબ મહેનત કરી છે, તેથી હવે અન્ય ટીમો આપણી સામે વધુ તાકાતથી રમશે. કોહલીએ દરેક ખેલાડીને આગામી અઢી મહિના સુધી પોતાનું 120% યોગદાન આપવા અને પ્રેક્ટિસના એક પણ મિનિટનો બગાડ ન કરવા સલાહ આપી છે.

ઓક્શન બાદ પહેલા કરતા વધુ મજબૂત બની RCB
ટીમના કોચ એન્ડી ફ્લાવરે પણ નવા ખેલાડીઓનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, ઓક્શન બાદ આપણી ટીમ પહેલા કરતા વધુ મજબૂત બની છે. રજત પાટીદાર અને વિરાટ કોહલી જેવા અનુભવી ખેલાડીઓ સાથે નવી ટીમ બનાવવાનો રોમાંચ અલગ જ છે. કોચે વધુમાં ઉમેર્યું કે, આપણી જર્સી પર હવે ‘સ્ટાર’ (ચેમ્પિયનનો લોગો) છે જે ગર્વની વાત છે, પરંતુ ગત સીઝન હવે ઈતિહાસ છે અને આપણે નવા પડકારો માટે તૈયાર રહેવું પડશે. ટીમનો મુખ્ય લક્ષ્ય આ વર્ષે પણ આઈપીએલ જીતીને ટાઇટલ જાળવી રાખવાનો છે.
વિવાદો વચ્ચે RCBની ટીમ મેદાનમાં ઉતરવા આતુર
જોકે, આ પ્રથમ ટ્રેનિંગ સેશનમાં તેજ બોલર યશ દયાલની ગેરહાજરી ચર્ચાનો વિષય બની હતી. યશ દયાલ હાલમાં ગંભીર જાતીય સતામણી અને શારીરિક હિંસાના આરોપોનો સામનો કરી રહ્યો છે, જેમાં એક સગીરાનો પણ સમાવેશ થાય છે. આ કાનૂની વિવાદોને કારણે તે હાલ ટીમની પ્રેક્ટિસથી દૂર જોવા મળ્યો હતો. તેમ છતાં, આરસીબીની આખી ટીમ નવા જોશ અને વ્યૂહનીતિ સાથે મેદાનમાં ઉતરવા માટે આતુર દેખાઈ રહી છે.
