ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સાબરકાંઠા સહિત સમગ્ર રાજ્યમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયાની તારીખમાં વધારો કરવામાં આવ્યો છે. હવે ખેડૂતો આગામી 27મી માર્ચ, 2026 સુધી નોંધણી કરાવી શકશે.
અગાઉ ઘઉંની ખરીદી માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા બીજી ફેબ્રુઆરીએ પૂર્ણ થઈ ગઈ હતી. જોકે, રાજ્યના વિવિધ ખેડૂત સંગઠનો અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા આ મુદત લંબાવવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. ખેડૂતોના હિતને ધ્યાને રાખીને સરકારે રજિસ્ટ્રેશન પ્રક્રિયા વધુ 15 દિવસ માટે ખુલ્લી મૂકી છે. આ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા ઘઉંના પાક માટે આકર્ષક ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ટેકાનો ભાવ પ્રતિ 20 કિલો 517 રૂપિયા નક્કી કરાયા છે. બજાર ભાવ અને કુદરતી આફતો વચ્ચે ખેડૂતોને આર્થિક સુરક્ષા મળી રહેશે.

હાલમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા અને કમોસમી વરસાદી માહોલ સર્જાયો છે, જેના કારણે ખેતી પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આવા સમયે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા લંબાવવામાં આવતા ખેડૂતોને મોટો આર્થિક ટેકો મળી રહેશે. સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં ઘઉંનું વ્યાપક વાવેતર થયું હોવાથી મહત્તમ ખેડૂતો આ સુવિધાનો લાભ લે તેવી શક્યતા છે.

