પેટ્રોલ અને ડીઝલની અછત અંગે અત્યારે ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ સ્થિતિ પાછળ મુખ્યત્વે બે કારણો જવાબદાર છે જેમાં વૈશ્વિક પરિસ્થિતિ મુજબ મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થવાને કારણે ક્રુડ ઓઈલ અને ગેસના સપ્લાય પર દબાણ આવ્યું છે. સોશિયલ મીડિયા પર પેટ્રોલ ખૂટી જશે તેવી અફવાઓ ફેલાતા લોકો સંગ્રહ કરવા માટે પંપ પર ઉમટી પડયા છે જેના કારણે ચાલુ પંપો પર અચાનક ભાર વધી ગયો છે.

પેટ્રોલ પંપના સ્ટોક રાખવાની ગાઈડ લાઈન નક્કી કરવામાં આવી છે. ઓર્ડર લખાવાની ગાઈડલાઈન સહિતના નિયમોમાં ધરખમ ફેરફારો થઈ રહ્યા છે. આઈઓસીના અમુક પંપ રાત્રે ૧૦ વાગ્યે બંધ થવાનો નિર્ણય ઘણી જગ્યાએ લાગું થઈ રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં સપ્લાય મેનેજમેન્ટ માટે રાત્રે ૧૦ વાગ્યા પછી પંપ બંધ રાખવાના સમાચાર છે પરંતુ આ સ્થીતી કાયમી નથી. ટેન્કરો મોડા આવવાને કારણે અથવા સ્ટોક મર્યાદિત હોવાથી અમુક પંપોએ કામચલાઉ ધોરણે આ નિર્ણય લીધો છે.ગયા વર્ષ જેટલો જ સ્ટોક ઉપાડયો હતો તેટલો જ આ વર્ષે રાખવાની ગાઈડલાઈન નક્કી કરવામાં આવી છે. ખાનગી કંપનીઓ અને કેટલીક સરકારી કંપનીઓ રેશનિંગ જેવી પધ્ધતિ અપનાવી રહી હોવાની ચર્ચા છે. એટલે કે, ડીલરને ગયા વર્ષના સરેરાશ વેચાણ મુજબ જ જથ્થો ફાળવવામાં આવી રહ્યો છે જેથી કરીને જથ્થાબંધ કાળાબજારી ન થાય અને તેને અટકાવી શકાય. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવ વધવા છતાં ભારતમાં રિટેલ ભાવ વધારવામાં આવ્યા નથી. માત્ર ઇન્ડસ્ટ્રિયલ ડીઝલમાં લિટર દીઠ ૨૨નો વધારો થયો છે. આવી સ્થિતિના કારણે ઓઈલ માર્કેટિંગ કંપનીઓને માર્કેટિંગ લોસ થઈ રહ્યો છે.
તંત્ર એ દાવો કર્યો છે કે, રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. સપ્લાય ચેઈનમાં ટેકનિકલ ખામીને કારણે વિલંબ થયો હોઈ શકે છે તેમણે અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી આપી છે. સપ્લાયમાં થોડી ખેંચતાણ જરૂર છે અને કંપનીઓ ખોટ ઘટાડવા સપ્લાય નિયંત્રિત કરી રહી છે પણ સંપૂર્ણ અછત નથી. માત્ર અફવાઓને કારણે અન્ય શહેરોની સરખામણીમાં જૂનાગઢ શહેરના પેટ્રોલ પંપ ઉપર ભીડ વધી રહી છે

