Surat News: સુરતની સીટી લાઈટ સ્કૂલના વિદ્યાર્થીએ પ્રિન્સિપાલ અને શિક્ષિકાના ત્રાસથી આત્મહત્યાની ચિઠ્ઠી લખતા ચકચાર મચી જવા પામ્યો છે. વાલીઓ માટે આંખ ઉઘાડતો કિસ્સો સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે.
ડાયમંડ સિટી સુરતમાંથી વાલીઓની ઊંઘ ઉડાવી દે તેવો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરત શહેરના પોશ ગણાતા સીટી લાઈટ વિસ્તારની એક અંગ્રેજી માધ્યમની શાળામાં અભ્યાસ કરતા 14 વર્ષના વિદ્યાર્થીએ લખેલી આત્મહત્યાની ચિઠ્ઠીએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. આ માસૂમ બાળકે પોતાની ચિઠ્ઠીમાં શાળાના પ્રિન્સિપાલ અને શિક્ષિકા પર ગંભીર આક્ષેપો કર્યા છે.
ઘટનાની મળતી માહિતી અનુસાર, સીટી લાઈટની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરતા આ વિદ્યાર્થીએ ચિઠ્ઠીમાં લખ્યું છે કે, પ્રિન્સિપાલ અને ટીચર મને મારે છે, હું આત્મહત્યા કરવા જાઉં છું. આ શબ્દો વાંચતા જ પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. વિદ્યાર્થીનો આરોપ છે કે, છેલ્લા એક વર્ષથી શાળાના પ્રિન્સિપાલ અને એક શિક્ષિકા તેના પર માનસિક અને શારીરિક અત્યાચાર ગુજારી રહ્યા છે, અને તેને સતત માર મારવામાં આવે છે.

બાળકો શાળામાં સુરક્ષિત છે કે કેમ? તેવો પ્રશ્ન આ ઘટનાએ ફરી એકવાર ઉભો કર્યો છે. 14 વર્ષનો તરૂણ જ્યારે આવા ગંભીર પગલાની વાત કરે, ત્યારે તે કેટલી હદે માનસિક પીડામાં હશે તેનો અંદાજ લગાવી શકાય છે. આ કિસ્સો સુરતના તમામ વાલીઓ માટે એક મોટી ચેતવણી છે કે, તેઓ પોતાના બાળકો સાથે સતત સંવાદ રાખે અને શાળામાં તેમની સાથે કેવું વર્તન થાય છે તેની જાણકારી મેળવતા રહે.
આટલી ગંભીર ઘટના હોવા છતાં, સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. જોકે, સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે આ ચિઠ્ઠી વાયરલ થતા શાળા પ્રશાસન સામે લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. આ મામલે હવે તંત્ર કેવા પગલાં લે છે તે જોવું રહ્યું.
