અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) રશિયાના ક્રીમિયામાં બુધવારે સવારે એક મોટી સૈન્ય હોનારત સર્જાઈ છે. રશિયન સેનાનું An-26 વિમાન એક ઊંચા પહાડ સાથે અથડાવાને કારણે ક્રેશ થઈ ગયું છે. આ ભીષણ અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ 29 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે. રશિયન સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વિમાનમાં 23 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર્સ સવાર હતા, જેમાંથી કોઈ પણ જીવિત બચ્યું નથી.

દુર્ઘટના કેવી રીતે સર્જાઈ?
આ અકસ્માત તે સમયે થયો જ્યારે વિમાન બ્લેક સી (કાળો સમુદ્ર) પાસે ક્રીમિયા દ્વીપકલ્પ પરથી પસાર થઈ રહ્યું હતું. રશિયન ન્યૂઝ એજન્સીઓના અહેવાલ મુજબ, ક્રેશ થવાના થોડા સમય પહેલા જ વિમાનનો કંટ્રોલ રૂમ સાથેનો સંપર્ક અચાનક તૂટી ગયો હતો. લાંબી શોધખોળ બાદ જ્યારે વિમાનનું લોકેશન મળ્યું, ત્યારે જાણવા મળ્યું કે તે સીધું પહાડ સાથે અથડાયું હતું. રશિયન રક્ષા મંત્રાલયે પુષ્ટિ કરી છે કે દુર્ઘટના સ્થળેથી કોઈ પણ વ્યક્તિ જીવિત મળી નથી.
તકનીકી ખામી કે મોટી ભૂલ?
વિમાનનો કાટમાળ મળી આવ્યો છે, પરંતુ હજુ પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ન્યૂઝ એજન્સી RIA ના પ્રારંભિક રિપોર્ટ મુજબ, આ ક્રેશ પાછળનું કારણ કોઈ મોટી તકનીકી ખામી હોઈ શકે છે. તપાસ એજન્સીઓ અત્યારે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું વિમાનના એન્જિનમાં કોઈ ખામી સર્જાઈ હતી કે પછી ખરાબ હવામાનને કારણે આ અકસ્માત થયો હતો.
ક્રીમિયાનો આ વિસ્તાર સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે, તેથી સૈન્ય વિમાનનું આ રીતે ક્રેશ થવું રશિયા માટે મોટી ચિંતાનો વિષય છે. હાલમાં ઘટનાસ્થળેથી પુરાવા અને Black Box એકત્રિત કરવા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે, જેથી 29 લોકોનો ભોગ લેનાર આ અકસ્માતનું અસલી કારણ જાણી શકાય.

