મહેસાણા જિલ્લામાં જમીન કપાતના મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા ખેડૂતોની જમીનમાં કરવામાં આવતા 40 ટકા કપાતના નિર્ણયને પગલે ખેડૂતો હવે આરપારની લડાઈના મૂડમાં છે. મહેસાણાના પાચોટ ગામે અંબાજી માતાના મંદિરે મોટી સંખ્યામાં ખેડૂતોની મહાસભા યોજાઈ હતી, જેમાં સરકાર સામે આંદોલનનું એલાન કરવામાં આવ્યું છે.

મહેસાણાના પાચોટમાં ખેડૂતોની મહાસભા
ખેડૂતોનો આરોપ છે કે સરકાર દ્વારા 40% જમીન કપાતનો જે નિર્ણય લેવામાં આવ્યો છે તે ખેડૂત વિરોધી છે. જો 100% માંથી 40% જમીન કપાઈ જશે, તો બાકી રહેલી જમીન પર ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવવું અશક્ય બની જશે. પાચોટમાં યોજાયેલી આ મહાસભામાં આસપાસના લાખવડ, રામપુરા અને દેલા ગામના ખેડૂતોએ પણ મોટી સંખ્યામાં હાજર રહી સમર્થન જાહેર કર્યું હતું.
કલેક્ટર કચેરીએ કૂચ અને આવેદન પત્ર
ખેડૂતોએ “જમીન બચાવો, અસ્તિત્વ બચાવો” ના સૂત્ર સાથે સરકારને સીધી ચીમકી આપી છે. આગામી દિવસોમાં ખેડૂતો વિશાળ જુલૂસ કાઢીને કલેક્ટર કચેરીએ કૂચ કરશે. આ ઉપરાંત સ્થાનિક ધારાસભ્ય, સંસદ સભ્ય અને રાજ્યસભાના સભ્યોને પણ આવેદન પત્ર આપીને પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવશે. જો સરકાર દ્વારા આ નિર્ણયમાં ફેરફાર કરવામાં નહીં આવે, તો આંદોલન વધુ તેજ કરવાની તૈયારીઓ ખેડૂતોએ કરી લીધી છે.

