મહારાષ્ટ્રના પુણે રેલવે સ્ટેશન પરથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મુંબઈ (CSMT) થી સોલાપુર જઈ રહેલી અત્યાધુનિક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પ્લેટફોર્મ પર પ્રવેશતી વખતે પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માતને પગલે રેલવે સ્ટેશન પર દોડધામ મચી ગઈ હતી. જોકે, રાહતની વાત એ છે કે ટ્રેનની ગતિ ધીમી હોવાથી કોઈ પણ મુસાફરને ઈજા પહોંચી નથી અને મોટી જાનહાનિ ટળી છે. રેલવેના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસમાં જોડાયા છે.
ઘટનાની વિગત મુજબ, સોમવારે સાંજે અંદાજે 7:30 વાગ્યે જ્યારે ટ્રેન નંબર 22225 વંદે ભારત એક્સપ્રેસ પુણે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર પ્રવેશ કરી રહી હતી, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ટ્રેનના ચોથા કોચની એક ટ્રોલી (વ્હીલ એસેમ્બલી) સ્ટેશન યાર્ડની અંદર આવેલી ‘ડાયમંડ ક્રોસિંગ’ પર પાટા પરથી નીચે ઉતરી ગઈ હતી. ટ્રેન પ્લેટફોર્મ પર આવી રહી હોવાથી તેની સ્પીડ ઓછી હતી, જે મુસાફરો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ હતી.

રેલવે વિભાગના જણાવ્યા અનુસાર, જે ડાયમંડ ક્રોસિંગ પર આ ડિરેલમેન્ટ થયું છે, તે વિસ્તાર પુણે સ્ટેશન યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટ હેઠળ અપગ્રેડેશન માટે પહેલેથી જ નિર્ધારિત હતો. પ્રાથમિક તારણ મુજબ, ટ્રેક પર ચાલી રહેલા કામ અથવા ટેકનિકલ કારણોસર આ ટ્રોલી પાટા પરથી ઉતરી હોઈ શકે છે. સેન્ટ્રલ રેલવેના સીપીઆરઓએ પુષ્ટિ કરી છે કે તમામ મુસાફરો સુરક્ષિત છે અને સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે.
આ અકસ્માતને કારણે સોલાપુર તરફ જતી ટ્રેન સેવાઓ પર થોડા સમય માટે અસર પડી હતી. અટવાયેલા મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવા માટે રેલવે દ્વારા બીજા રેકની વ્યવસ્થા કરવાની યોજના બનાવવામાં આવી હતી. રેલવે સુરક્ષા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેન્ટેનન્સને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. રેલવે પ્રશાસને આ ઘટના પાછળના ચોક્કસ કારણો જાણવા માટે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.
રેલવેની એન્જિનિયરિંગ અને ટેકનિકલ ટીમો અત્યારે ઘટનાસ્થળે હાજર છે. ગેસ કટર, ક્રેન અને જેક જેવા સાધનોની મદદથી ટ્રેનના ડબ્બાને ફરીથી પાટા પર ચડાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. રેલવે ટ્રેકને નુકસાન થયું છે કે કેમ તેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. આગામી થોડા કલાકોમાં આ રૂટ પર ટ્રેન વ્યવહાર સામાન્ય કરી દેવામાં આવશે તેવી ખાતરી અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે.

