દક્ષિણ દિલ્હીના સત્યનિકેતન વિસ્તારમાં રવિવારે બપોરે બનેલી એક ગંભીર દુર્ઘટનામાં બહુમાળી ઇમારત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 6 લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે 11 લોકોને સફળતાપૂર્વક કાટમાળમાંથી બહાર કાઢી બચાવી લેવાયા છે.
દુર્ઘટના બાદ સમગ્ર રાત દરમિયાન બચાવ કામગીરી સતત ચાલુ રહી હતી, જે દરમિયાન વધુ એક વ્યક્તિનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. સોમવારે સવારે પણ દિલ્હી પોલીસ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), ફાઇબર બ્રિગેડ અને દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA)ની સંયુક્ત ટીમો દ્વારા રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં ચલાવવામાં આવી રહ્યું છે.
બેઝમેન્ટમાં ચાલી રહેલું સમારકામ અને ભારે વરસાદ બન્યા કારણ
રવિવારે બપોરે આશરે 1:30 વાગ્યે આ હોનારત સર્જાઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, આશરે 40થી 50 વર્ષ જૂની આ ઇમારતમાં બેઝમેન્ટ અને ઉપર પાંચ માળ આવેલા હતા. અકસ્માત સમયે બેઝમેન્ટમાં સમારકામનું કામ ચાલી રહ્યું હતું. આ ઉપરાંત, સતત થઈ રહેલા ભારે વરસાદને કારણે પણ જર્જરિત માળખું બેસી ગયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આશરો લેતા હતા
આ ઇમારતમાં આશરે 40 જેટલા રૂમ આવેલા હતા અને તેનો ઉપયોગ મુખ્યત્વે દિલ્હી યુનિવર્સિટીના સાઉથ કેમ્પસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પેઇંગ ગેસ્ટ (PG) તરીકે થતો હતો. કાટમાળ નીચે હજુ પણ ઘણા લોકો દબાયેલા હોવાની ભીતિ છે, જેમાં મોટાભાગે વિદ્યાર્થીઓ હોવાનું કહેવાય છે.
મુખ્યમંત્રીના મેજિસ્ટ્રેટ તપાસના આદેશ અને FIR
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને સમગ્ર મામલે મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે, “આ ગંભીર ઘટના માટે જવાબદાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં નહીં આવે અને કાયદાના કડક જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરાશે.”
પોલીસના જણાવ્યા અનુસાર, સાઉથ કેમ્પસ પોલીસ સ્ટેશનમાં ઇમારતના માલિક હરિરામ અને અન્ય લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. દક્ષિણ-પશ્ચિમના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) અમિત ગોયલે એફઆઈઆર દાખલ થઈ હોવાની પુષ્ટિ કરી છે.

