26 ઓગસ્ટે નેપાળમાં આવેલા વિનાશક પૂર બાદ રાહત અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. આ મુશ્કેલ સમયમાં ભારત સતત નેપાળને મદદ કરી રહ્યું છે. બુધવારે રાહત સામગ્રી લઈને ભારતીય વાયુસેનાનું આઠમું વિમાન કાઠમંડુ પહોંચ્યું હતું. 26 ઓગસ્ટથી અત્યાર સુધીમાં ભારતે આઠ વિશેષ ફ્લાઇટ્સ દ્વારા નેપાળને 130 ટનથી વધુ રાહત સામગ્રી મોકલી છે.
54 નિષ્ણાંતોને ભારતે મોકલ્યા
આ ઉપરાંત ભારતે બચાવ, રાહત અને ફોરેન્સિક કામગીરીમાં મદદ કરવા માટે 54 નિષ્ણાતોને મોકલ્યા છે. ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર, નેપાળને સહાય પૂરી પાડવા માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ભારતે નેપાળને શું કરી મદદ ?
ભારતે નેપાળને તંબુ, ધાબળા, સ્વચ્છતા કિટ્સ (હાઈજીન કિટ્સ), સોલર લેમ્પ્સ અને દવાઓ સહિતની વિવિધ આવશ્યક વસ્તુઓ પૂરી પાડી છે. મુશ્કેલ ભૌગોલિક વિસ્તારોમાં બચાવ કામગીરી માટે વિશેષ સાધનો – જેમ કે કાદવ અને ટનલમાંથી બચાવ માટેના સાધનો – પણ મોકલવામાં આવ્યા છે. તેમાં મડ રેસ્ક્યુ સૂટ (કાદવમાંથી બચાવ માટેના પોશાક), ગેસ ડિટેક્ટર અને શ્વાસ લેવાના ઉપકરણોનો સમાવેશ થાય છે.

પાણી બહાર કાઢવાના પંપ અને પોર્ટેબલ જનરેટર પણ રાહત સામગ્રીનો ભાગ છે. વધુમાં લાઈટિંગ ટાવર અને ફૂલાવી શકાય તેવા વોકવે (રસ્તા) પણ પૂરા પાડવામાં આવ્યા છે. ભારતે ફોરેન્સિક તપાસ માટે જરૂરી સાધનો પણ મોકલ્યા છે, જેમાં ડીએનએ કિટ્સ, ડીએનએ પ્રોફાઇલિંગ સાધનો અને આવશ્યક રિએજન્ટ્સનો સમાવેશ થાય છે.
ચિલિમે અને લાંગટાંગમાં બચાવ કામગીરી
ભારતની વિશેષ ટનલ રેસ્ક્યુ ટીમે નેપાળી સેનાના સહયોગથી ચિલિમે અને લાંગટાંગમાં બચાવ કામગીરી શરૂ કરી છે. હાલમાં બચાવ કામગીરીનું મુખ્ય ધ્યાન ચિલિમે પર છે. ત્યાં અત્યંત દુર્ગમ ભૂપ્રદેશને કારણે રાહત અને બચાવ કાર્ય મુશ્કેલ છે. જેનાથી ત્યાં પહોંચવું પડકારજનક બની જાય છે. ટીમને ટનલની અંદરના તીવ્ર ઢોળાવ સહિત અનેક અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે.
ભારતીય ટીમ મેન્યુઅલ (હાથથી કરવામાં આવતા) બચાવ પ્રયાસો અને આધુનિક તકનીકો બંનેનો ઉપયોગ કરી રહી છે. ટનલ સાઇટ પર ભારે મશીનરી પહોંચાડવાની તૈયારીઓ ચાલી રહી છે અને બચાવ કામગીરીને ઝડપી બનાવવા માટે કામચલાઉ રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. આ માર્ગ દ્વારા, એક્સકેવેટર જેવી ભારે મશીનરી ટનલ સાઇટ પર લઈ જવામાં આવશે.
ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર, રસ્તો બનાવવાની કામગીરીમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. આગામી બેથી ત્રણ દિવસમાં તે પૂર્ણ થવાની અપેક્ષા છે, ત્યારબાદ ટનલની અંદર બચાવ કામગીરી વધુ વેગ પકડી શકે છે.
ફોરેન્સિક ટીમ નેપાળમાં કરી રહી છે કામ
ભારતની ફોરેન્સિક ટીમ પણ નેપાળમાં કામ કરી રહી છે. આ ટીમ કાઠમંડુની બે પ્રયોગશાળાઓમાં નેપાળી અધિકારીઓ અને નિષ્ણાતોના સહયોગથી ડીએનએ (DNA) નમૂનાઓનું વિશ્લેષણ કરી રહી છે. આ પ્રક્રિયામાં ભારત તરફથી મોકલવામાં આવેલી ડીએનએ કિટ્સ અને અન્ય સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તેમજ જરૂરી રિએજન્ટ્સ પણ પૂરા પાડવામાં આવ્યા છે. આનાથી નમૂનાઓની ઓળખ અને વિશ્લેષણની કામગીરી સરળ બની છે.
પૂરને કારણે નેપાળમાં સ્થિતિ બની છે કફોડી
ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે ભારત નેપાળની જનતા અને સરકારની પડખે ઊભું છે. ભારત રાહત અને બચાવ કામગીરી તેમજ પુનર્વસનની કામગીરીમાં સહાય કરવાનું ચાલુ રાખશે. પૂરને કારણે નેપાળના અનેક વિસ્તારોમાં પરિસ્થિતિ હજુ પણ મુશ્કેલ છે; ભારત દ્વારા મોકલવામાં આવેલી રાહત સામગ્રી અને નિષ્ણાત ટીમો બચાવ કામગીરીને વેગ આપી રહી છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે જરૂરિયાત મુજબ નેપાળને વધુ સહાય પૂરી પાડવામાં આવશે.

