ગુજરાતમાં પક્ષીઓના મૃત્યુ થવાથી બર્ડ ફ્લુની ખતરો ઉભો થયો હતો. ત્યાર બાદ અમદાવાદમાં કબૂતરોના મોત બાદ ફરીવાર લોકોમાં ફફડાટ ફેલાયો છે. અમદાવાદમાં વધુ 20 કબૂતરોના મોત થયા હોવાનું બહાર આવ્યું છે. જેથી હવે રાજયમાં કુલ 190 કબૂતરોના મોત થતાં તંત્રની દોડધામ વધી ગઈ છે. શહેરમાં આકૃતિ ટાઉનશિપના ત્રણેય વિભાગ અને મેદાનમાં કુલ 117 જેટલા કબૂતરના મોત થયાં છે. જ્યારે ધર્મકુંજ રેસિડેન્સીમાં 26, અતિથિ એવેન્યૂમાં 21, વેદિકા રેસિડેન્સીમાં 26 કબૂતરના મોત થયા છે. એક બાદ એક 190 કબૂતરના મોતથી બર્ડ ફ્લૂ ફેલાવાનો પણ ભય સતાવી રહ્યો છે. હાલ તો કબૂતરના મોત કયા કારણોસર થયા તેને લઈને તપાસ હાથ ધરાઈ છે. તંત્રની ટીમ સાથે એનજીઓના લોકો પણ કામે લાગ્યા છે. બીજી તરફ સેનિટાઈઝેશનની કામગીરી પણ કરાઈ છે.
વધુ તપાસ માટે સેમ્પલને ભોપાલ મોકલાયાં
હાલમાં આ કબૂતરના સેમ્પલ સાથે એક ટીમને ભોપાલ રવાના કરી છે. બે દિવસમાં ત્યાંથી રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરાશે. બુધવારે નારોલના આકૃતિ ટાઉનશિપમાં મોટી સંખ્યામાં કબૂતરોનાં મોત થતાં પશુપાલન ખાતાને જાણ કરાતાં પશુપાલન વિભાગની ટીમે ઘટનાસ્થળે આવી મૃત કબૂતરોના સેમ્પલ લઇ ભોપાલ લેબમાં તપાસ અર્થે મોકલી આપ્યા હતા. બર્ડ ફ્લૂની આશંકાને ધ્યાને લઇને ઘટનાસ્થળે સેનેટાઇઝ અને ફોગિંગ કરાયું હતું. પશુપાલન વિભાગના ડો.સુકેતુ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, બુધવારે આ સ્થળો પર કબૂતર પડીને મરી રહ્યાં હતાં. હવે કુલ 190 કબૂતરોના મોત થયાં છે.