આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી સંગઠન છાત્ર યુવા સંઘર્ષ સમિતિ (CYSS)એ આજે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં વૃંદાવન સોસાયટીમાં આવેલી આંગણવાડી ગેરકાયદેસર રીતે ઉભી કરી હોવાનો આક્ષેપ કરી વિરોધ કર્યો હતો. સોસાયટીની જમીન પર છેલ્લા સાત વર્ષથી આ આંગણવાડી હોવાનો અને અત્યાર સુધીમાં એકપણ બાળક આંગણવાડીમાં ન આવ્યો હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીએ કર્યો છે. આપની સાથે વૃંદાવન સોસાયટીના નાગરિકો પણ આ વિરોધમાં જોડાયા હતા.
છાત્ર યુવા સંઘર્ષ સમિતિના યુવા આગેવાન યાત્રિક પટેલે જણાવ્યું હતું કે, અમરાઈવાડીમાં ઈન્દ્રપુરી વોર્ડમાં વૃંદાવન સોસાયટીમાં 7 વર્ષ પહેલા સોસાયટીની પરવાનગી વગર સરકારી તંત્રએ સોસાયટીની જમીન પર આંગણવાડી બનાવી હતી. ત્યારથી સોસાયટીના દરેક સભ્ય સોસાયટીની જમીન સોસાયટીને પરત આપવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે. સરકારી તંત્ર અને આંગણવાડી વિભાગમાં ઘણી ફરિયાદો પણ કરી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સુપરવાઈઝર સાથે પણ વાત કરી, પછી તેમણે તપાસ કરી અને જણાવ્યું કે, આ વોર્ડમાં 25 આંગણવાડીઓ છે, જે કાર્યરત છે. પરંતુ કોઇ પણ સરકારી કાગળોમાં આ આંગણવાડીની વિગત નથી. પ્રભારી સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, એક અઠવાડિયામાં આ સમસ્યાનો ઉકેલ આવી જશે, પરંતુ તેમ થયું નહીં.
ત્યારબાદ મહેસાણામાં આંગણવાડી વિભાગમાં ગયા અને સોસાયટીની જમીન પર આંગણવાડી બનાવવામાં આવી છે તે કાગળો બતાવો તેવી માંગણી કરી હતી પરંતુ તેઓએ કોઈ પણ માહિતી આપવાનો ઈન્કાર કર્યો હતો. જ્યારે અમે છેલ્લા 7 વર્ષથી અહીં પસાર થયેલા તમામ બિલોની માહિતી માંગી તો તે પણ અમને આપવામાં આવી ન હતી.