60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા સિનિયર નેતાઓ ને ભાજપે આ વખતે ઘરે બેસાડ્યા છે. આ ઉમેદવારોની જગ્યાએ ભાજપ દ્વારા યુવા ચહેરાઓ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. જામનગરમાં એક તરફ ટિકિટ ન મળવાના કારણે વિરોધ જોવા મળી રહ્યો છે અને બળવાખોર પૂર્વ કોર્પોરેટર ભાજપ છોડીને આમઆદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. તો બીજી તરફ ટિકિટ મળવાથી યુવા ચહેરાઓ પક્ષની આશાઓ પર ખરા ઉતરવા પ્રયાસો કરી રહ્યાં છે. જામનગરમાં વોર્ડ નંબર એકમાં ભાજપ દ્વારા એક એવા યુવા ઉમેદવારની પસંદગી કરવામાં આવી કે જેની ઉંમર માત્ર 21 વર્ષ છે. વોર્ડ નંબર એકમાં પસંદગી પામેલા મનિષા બાબરિયાએ લોકભોગ્ય કામ કરવાનું વચન આપ્યું છે આ ઉપરાંત શિક્ષણ આરોગ્ય ક્ષેત્રે પણ વધુ ધ્યાન આપવાની વાત કરી છે.
વોર્ડ નં.1ની સમસ્યાઓનો ઉકેલ મારી પ્રાથમિકતા ભાજપ તરફથી ટિકિટ મેળવનાર મનિષા બાબરિયાએ જણાવ્યું હતું કે, વોર્ડ નં.1માંથી ભાજપે મને ટિકિટ આપી છે. જે બદલ હું પક્ષનો ખૂબ આભાર માનું છું. પક્ષે મને ટિકિટ આપીને આ વોર્ડનો વિકાસ કરવાની એક તક અને જવાબદારી સોંપી છે. જેને હું નિભાવીશ. મારા વોર્ડ નં.1માં જે કંઇ પણ સમસ્યાઓ છે તેનો ઉકેલ લાવવો એ મારી પ્રાથમિકતા હશે. શિક્ષણ પ્રત્યે મહિલાને જાગૃત કરીશ. વોર્ડમાં આરોગ્યને લગતી અસુવિધાઓ છે તે પ્રત્યે યોગ્ય કામગીરી કરીને વોર્ડમાં કોઇને આરોગ્યને લગતી સમસ્યા ન થાય એ દિશામાં પ્રયત્નશીલ રહીશ.
પૂર્વ ડેપ્યુટી મેયર ‘આપ’માં જોડાયા
જામનગરમાં ગુરૂવારે રાત્રિએ ભાજપમાંથી સૌપ્રથમ રાજીનામું આપનાર પાંચ ટર્મથી ચૂંટાતા પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ ડેપ્યુટી મેયર કરશન કરમુરે શુક્રવારે વિધિવત રીતે આપનો ખેસ પહેરી લીધો હતો. તેઓ વોર્ડ નં.5માંથી સતત 25 વર્ષથી ચૂંટાતા આવે છે તેમની આપમાંથી દાવેદારીના લીધે ચૂંટણી જંગ ભારે રસપ્રદ બનશે.
અસંતોષને કારણે હજુ પક્ષ પલટાની શક્યતા
જામ્યુકોની બેઠક માટે ઉમેદવારોની જાહેર થયા બાદ ભાજપમાં અસંતોષના ચરૂ ઉકળી રહ્યો છે અને શનિવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય હજુ વધુ પક્ષ પલટાની શકયતા નકારી શકાતી નથી.
પૂર્વ ડેપ્યુટી મેયરના પુત્ર અને ટિકિટના દાવેદારે કોંગ્રેસનો ખેસ પહેર્યો
ભાજપથી નારાજગીનો દોર દિવસ દરમિયાન વણથંભ્યો ચાલુ રહ્યો હતો. પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ ડે. મેયર મનસુખ ખાણધર જે ટિકિટ ન મળવાથી નારાજ હતા તેમના પુત્ર પુનિતે ભાજપનો ખેસ પહેરી લીધો હતો. બીજી બાજુ વોર્ડ નં.3ના ભાજપના ટિકિટના દાવેદાર હંસાબેન ત્રિવેદીએ પણ નારાજ થઈને કોંગ્રેસનો ખેસ પહેરી લીધો હતો.
લીમડા લેન-ગુ્રૂદ્વારા વિસ્તારના લોકોએ પ્રદેશ પ્રમુખને પત્ર લખ્યો
ભાજપની યાદી જાહેર થતાંની સાથે જ લીમડા લેન અને ગુરૂદ્વારા વિસ્તાર જેમાં 7300થી વધુ મતદારો છે. તેમણે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને કાગળ લખી આ વિસ્તારના લોકોને કોઈ જ પ્રતિનિધિ ન આપવા બાબતે નારાજગી દર્શાવી ફેરવિચારણા કરવાની માંગણી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વોર્ડમાં આયાતી ઉમેદવારના મામલે ગુરૂવારથી જ ભારે અસંતોષ છે.