સુરત શહેરમાં ભાગીદારોના ત્રાસથી મોટા બિલ્ડરે કારમાં ઝેરી દવા પીને આપધાતનો પ્રયાસ કર્યો હતો. આપઘાતના પ્રયાસ પહેલા સ્યુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં ભાગીદારો ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો.આ મામલે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ બિલ્ડર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
સુરતના મોટા વરાછા ખાતે રહેતા બિલ્ડર વિપુલ રંગાણીએ ભાગીદારીઓના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ભાગીદારીમાં માથાભારે બિલ્ડરો દિલીપ જાસોલીયા, સત્યમ તેજાણી, નિલેશ કોરાટ, ઈશ્વર સહિતનાઓ સાથે મળી મોટા વરાછામાં જ હરેકૃષ્ણ પ્રોજેક્ટ કર્યુ હતું. જેમાં તમામ ભાગીદારોએ વિપુલ રંગાણીનો ભાગ પડાવી લેવા તેની પાસે જબરજસ્તી પાવર લખી આપવા ધમકી આપી હતી.
જેથી ભાગીદારોના ત્રાસથી કંટાળી વિપુલ રંગાણીએ ઘર પાસે જ કારમાં બેસી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે અંગેની જાણ એક્તા ટ્રસ્ટના અબ્દુલ મલબારીને થતા તેઓએ ત્યાં પહોંચી તેઓને પોતાની ગાડીમાં અઠવાલાઈન્સ ખાતે આવેલ રાધિકા હોસ્પિટલે ખસેડ્યા હતાં. જ્યાં હાલ તેઓની હાલત સુધારા પર છે.
બિલ્ડર વિપુલ રંગાણીએ જણાવ્યું હતું કે, મારા ભાગીદારો મારી પાસેથી બધુ લઈ લેવા માંગે છે. મારા પાંચ ભાગીદારો પ્રોજેક્ટના પાવર ઓફ એટોર્ની કરવા દબાણ કરતા હતા. અત્યાર સુધી મારા પાવરથી દસ્તાવેજો થતા હતા જે પાવર લઈ તે લોકો દસ્તાવેજ કરવા માંગતા હોવાથી દબાણ કરતા હતા. 4 વર્ષથી ભાગીદારીમાં પ્રોજેક્ટ કરી છીએ. જોકે, છેલ્લા 15 દિવસથી માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. રાત્રે 3-3 વાગ્યા સુધી ઓફિસમાં બેસાડી રાખતા હતા.
હાલ આ સમગ્ર મામલાની ગંભીરતા જોઈને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.