સુરત પાલિકા સંચાલિત સુએઝ પમ્પીંગ સ્ટેશનમાં કેટલાક કેમિકલને કારણે દુર્ગંધનું વધતાં પમ્પીંગ સ્ટેશનની આસપાસ રહેતા લોકોની સ્થિતિ કફોડી થઈ જાય છે. આવી સ્થિતિમાંથી લોકોની મુશ્કેલી ઓછી થાય તે માટે પાલિકાએ રહેણાક વિસ્તારની આસપાસ આવેલા ત્રણ સુએઝ પમ્પીંગ સ્ટેશનમાં દુર્ગંધ રોકવા ડીઓડોરાઇઝેશન સીસ્ટમ શરૂ કરવા કવાયત હાથ ધરી છે. પ્રાયોગિક ધોરણે આ પ્રોજેક્ટ માટે બજેટમાં જોગવાઈ કરી હતી હાલ આચાર સંહિતા હોવાથી આચારસંહિતા પુરી થયા બાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
સુરત પાલિકા વિસ્તારમાં જુદા જુદા જગ્યાએ 64 જેટલા સુએજ પમ્પીંગ સ્ટેશન બનાવ્યા છે તેમાંથી કેટલાક પમ્પીંગ સ્ટેશન રહેણાક વિસ્તારની આસપાસ છે. પાલિકાના કેટલાક પમ્પીંગ સ્ટેશનમાં કેમીકલના કારણે ભયંકર દુર્ગંધ ફેલાય છે અને તેના કારણે આસપાસ રહેનારા લોકોની હાલત કફોડી થઈ જાય છે. આવા પ્રકારની સંખ્યાબંધ ફરિયાદ બાદ પાલિકાએ આ સમસ્યાના નિવારણ માટે બજેટમાં ડીઓડોરાઇઝેશન સીસ્ટમ શરૂ કરવા માટે 13.50 કરોડની જોગવાઈ કરી હતી. પરંતુ હાલ આચાર સંહિતા લાગુ હોય આ કામગીરી સ્થગિત થઈ ગઈ છે જોકે, આચારસંહિતા દરમિયાન ટેન્ડરની કામગીરી પૂરી કરી દેવાશે. સુરત પાલિકા રહેણાંક વિસ્તારમાં સુએઝ પમ્પીંગ સ્ટેશન છે તેવા ઉમરા, ખટોદરા અને વેસુ-ભરથાણા ત્રણ સુએઝ પમ્પીંગ સ્ટેશન દુર્ગંધયુક્ત ગેસ રહિત વાતાવરણ બની રહે તે હેતુ સાથે ડીઓડોરાઇઝેશન સીસ્ટમ શરૂ કરવા માટે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાશે. તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત તંત્ર દ્વારા બે સુએઝ પમ્પિંગ સ્ટેશન માંથી હાનિકારક કેમિકલ/ગેસ દુર્ગંધની વ્યાપક ફરિયાદને પગલે ડીઓડોરાઇઝેશન સીસ્ટમ પ્રસ્થાપિત કરવામાં આવી હતી. આ સીસ્ટમના સકારાત્મક પરિણામ મળતાં હવે મનપા દ્વારા શહેરમાં કાર્યરત 64 એસપીએસ પૈકી દુર્ગંધયુક્ત ગેસની વધુ સમસ્યા ધરાવતા ઉમરા, ખટોદરા અને વેસૂ-ભરથાણા ખાતેં કાર્યરત એસપીએસમાં ડીઓડોરાઇઝેશન સીસ્ટમ પ્રસ્થાપિત કરવાનું આયોજન છે. ત્યાર બાદ અન્ય રહેણાંક વિસ્તાર નજીક આવેલા સુએજ પમ્પીંગ સ્ટેશનમાં દુર્ગંધની સમસ્યા દૂર કરી ગેસ રહિત વાતાવરણ ઊભું કરવાના હેતુથી આ સીસ્ટમ પ્રસ્થાપિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આચાર સંહિતા બાદ ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામા આવશે.