પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શુક્રવારે બીજી વખત કેન્દ્ર સરકારની વેક્સિન પોલિસી પર સવાલ ઉઠાવ્યા હતા. કેન્દ્ર પર નિશાન સાધતા દીદીએ કહ્યું કે બંગાળણે અન્ય રાજ્યોની સરખામણીએ ઓછી વેક્સિન આપવામાં આવી રહી છે.
મમતાએ કહ્યું, “ગુજરાત, ઉત્તર પ્રદેશ અને કર્ણાટકને બંગાળ કરતાં વધુ વેક્સિન આપવામાં આવી રહી છે. હું લોકો વચ્ચે ભેદભાવ કરતી નથી, પરંતુ બંગાળને વસ્તીની દ્રષ્ટિએ ઓછી વેક્સિન આપવામાં આવી છે. બંગાળ સાથે થઈ રહેલા ભેદભાવને હું ચૂપચાપ જોઈ શકતી નથી. હું કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરું છું કે રાજ્યોના આધારે ભેદભાવ ન કરો.”
મમતાએ વડાપ્રધાનને પત્ર પણ લખ્યો
આ પહેલા બંગાળના મુખ્યમંત્રીએ વેક્સિનેશન બાબતે PM મોદીને એક પત્ર પણ લખ્યો હતો. મમતાએ પત્રમાં બંગાળની સ્થિતિ બાબતે ચિંતા વ્યકત કરતાં કહ્યું કે જો કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં બંગાળમાં વેક્સિનનો પુરવઠો વધારશે નહીં તો પરિસ્થિતિ ગંભીર બની શકે છે. બંગાળના તમામ નાગરિકોને વેક્સિન આપવા માટે 14 કરોડ ડોઝની જરૂર છે.
પત્રમાં મમતાએ બીજું શું લખ્યું?
મમતાએ વધુમાં કહ્યું કે રાજ્યમાં દરરોજ 11 લાખ વેક્સિનના ડોઝ આપવાની અમારી ક્ષમતા છે, પરંતુ અમે દરરોજ માત્ર 4 લાખ ડોઝનું જ વેક્સિનેટ કરી શકીએ છીએ. આ વેક્સિનના ઓછા પુરવઠાને કારણે છે. તેમણે કહ્યું કે આ મુદ્દે તે પહેલાથી જ વડાપ્રધાનને પત્ર લખી ચૂકી છે, પરંતુ કેન્દ્ર સરકારે તેના પર ધ્યાન આપ્યું નથી. કેન્દ્ર અન્ય રાજ્યોને વધુ વેક્સિન આપી રહ્યું છે. અમને તે બાબતે કોઈ સમસ્યા નથી.
મમતાએ પત્રમાં દાવો કર્યો હતો કે બંગાળમાં કોરોના સંક્રમણનો દર ઘટીને 1.57%થી નીચે આવી ગયો છે. આ રાજ્ય સરકારના પ્રયાસોનું પરિણામ છે. તેથી કેન્દ્ર સરકારને વિનંતી કરવામાં આવે છે કે અમને જરૂર મુજબના વેક્સિનના ડોઝ આપો. બંગાળના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં બુધવાર સુધી 3.09 કરોડથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે.
બંગાળ BJPનો આ મુદ્દા પર અભિપ્રાય
બંગાળ ભાજપના નેતાઓએ વેક્સિનના પુરવઠામાં ભેદભાવના આરોપોને ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે બંગાળ સરકાર રાજ્યમાં યોગ્ય રીતે વેક્સિનેશન કરાવી શકતી નથી. 3 ઓગસ્ટના રોજ તેણે કહ્યું કે રાજ્યમાં 30 લાખ વેક્સિનનો સ્ટોક છે, પરંતુ સરકાર તેને સામાન્ય લોકો સુધી ઉપલબ્ધ કરાવવામાં સક્ષમ નથી.
બંગાળ ભાજપના પ્રમુખ દિલીપ ઘોષ સાથે રાજ્યના ભાજપના સાંસદોનું એક દળ આ મુદ્દે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાને મળ્યું હતું. આ પછી દળે કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાથે પણ વાત કરી. ભાજપના સાંસદોએ આરોપ લગાવ્યા હતા કે રાજ્યમાં વેક્સિનેશન દરમિયાન TMC કાર્યકરોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
છેલ્લે ક્યારે ઉઠાવ્યો હતો વેક્સિનેનો મુદ્દો
મમતા બેનર્જી ગઈ 27 જુલાઈએ દિલ્હી પહોંચ્યા હતા. તેઓ રાહુલ, સોનિયા, કેજરીવાલ સહિત અનેક વિપક્ષી નેતાઓને મળ્યા હતા. આ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા. બેઠકમાં મમતાએ તે સમયે પણ વેક્સિન પુરવઠામાં ભેદભાવનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે વડાપ્રધાન પાસે બંગાળને આપવામાં આવી રહેલા ડોઝની સંખ્યા વધારવાની માંગ કરી હતી. મમતાએ કહ્યું હતું કે બંગાળને વસ્તી અનુસાર વેક્સિન મળવી જોઈએ.