મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, શિવસેનાના કદાવર નેતા એકનાથ શિંદે મહારાષ્ટ્રના નવા સીએમ બનશે. બીજેપીના નેતા દેવેનેદ્ર ફડનવીસે આ અંગે માહિતી આપી છે. દેવેન્દ્ર ફડનવીસે કહ્યું, મહારાષ્ટ્રના સીએમ પદ માટે એકનાથ શિંદે આજે સાંજે શપથ ગ્રહણ કરશે, ભાજપ તેમને સમર્થન આપશે. દેવેન્દ્ર ફડનવીસે આ અંગે વધુ માહિતી આપતા કહ્યું કે, ભાજપ હિન્દુત્વ માટે એકનાથ શિંદેને સમર્થન કરશે. એકનાથ શિંદે એકલા જ આજે સીએમ પદ માટે સાાંજે 7-00 કલાકે શપથ ગ્રહણ કરશે. મહારાષ્ટ્ર વિકાસ ્ઘાડીને બહુમત ન મળ્યો. ઉદ્ધવ ઠાકરેની આગેવાનીમાં શિવસેનાએ કોંગ્રેસ સાથે હાથ મિલાવી હિન્દુત્વની વિચારધારાને છોડી દીધી હતી.
આ બાજુ એકનાથ શિંદેએ કહ્યું કે, મહારાષ્ટ્રનો વિકાસ અમારો એજન્ડા રહેશે, એમવીએ સરકારમાં જનતાના કામ થતા ન હતા. મે અનેક વખત રજૂઆતો કરી, પરંતુ દાઉદ સાથે જોડાયેલા મંત્રીઓને પદ પરથી ન હટાવવામાં આવ્યા. અમે મહારાષ્ટ્રના વિકાસ માટે ભાજપની સાથે આવ્યા. મહાઅઘાડી સરકારમાં કામ કરવું મુશ્કેલ. ભાજપ સાથે હાથ મિલાવ્યા બાદ અમારી સરકાર મજબૂત બની. અમે સાથે મળીને પ્રજા માટે કામ કરીશું. અમારા અને ભાજપના વિચાર એક જેવા. ભાજપ મોટી પાર્ટી હોવા છતા મને સીએમ બનાવ્યો. મારા જેવા નાના કાર્યકર્તા પર વિશ્વાસ મુકવા બદલ પીએમ મોદી અને અમિત શાહનો આભાર. અમે સાચા શિવસૈનિકો છીએ, અને બાળાસાહેબના વિચારોના સાચા સમર્થક.
ઉલ્લેખનીય છે કે, એકનાથ શિંદે આજે 10 દિવસ બાદ મુંબઈ પરત ફર્યા હતા અને સીધા બીજેપીના કદાવર નેતા દેવેન્દ્ર ફડનવીસના ઘરે સીધા પહોંચ્યા હતા. ત્યારબાદ એકનાથ શિંદેના સીએમ પદના નામ માટે મહોર મારવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, રાજભવનમાં શપથ સમારોહની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, જ્યાં એકનાથ શિંદે સાંજે 7:00 વાગ્યે શપથ લેશે. એવા પણ સમાચાર છે કે રાજ્યપાલે એકનાથ શિંદે સહિત કુલ 10 લોકોને બોલાવ્યા છે.