GUJARAT : કુપોષણમુક્ત ગુજરાત: વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ‘સેન્ટ્રલાઈઝ્ડ કિચન’ અટવાયો

0
16
meetarticle

પીએમ પોષણ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત ભોજન મળી રહે તે માટે ‘સેન્ટ્રલાઇઝ કિચન’ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. કુપોષણ સામે લડત લડવાનો ધ્યેય રહ્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ સેન્ટ્રલાઇઝ કિચન ખોરંભે ચડ્યો છે. મહત્ત્વની વાત એછેકે, ખુદ મુખ્યમંત્રીએ જ નહીં, નાણાં મંત્રાલયે મંજૂરી આપી હોવા છતાંય પ્રોજેક્ટ આગળ ધપતો નથી. આદિવાસી અને બિન આદિવાસી વિસ્તારના લાખો ગરીબ વિદ્યાર્થીઓના મોઢામાંથી કોળિયો છિનવાયો હોય તેવી સ્થિતી પરિણમી છે.

ગુજરાતમાં કુપોષણની સમસ્યા વકરી છે, ત્યારે પીએમ પોષણ યોજના અંતર્ગત શાળામાં વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત ભોજન મળે તે હેતુસર શરૂ કરાયેલાં સેન્ટ્રલાઈઝ કિચનનો વ્યાપ વધારવા સરકારે નક્કી કર્યું હતું. હાલ અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, સુરત સહિત દસેક શહેરોમાં સેન્ટ્રલાઇઝ કિચન ચાલી રહ્યાં છે જેમાં 3003 શાળાના 6,81,268 વિદ્યાર્થીઓને ભોજન અપાઈ રહ્યું છે. ભોજનની ગુણવત્તા જળવાઈ રહે, ગેરરીતિ ન થાય તે માટે સેન્ટ્રલાઇઝ કિચનનું સંચાલન સ્વૈચ્છિક સંસ્થા-ટ્રસ્ટોને સોપાયુ છે.

હવે આદિવાસી અને બિન આદિવાસી કુલ મળીને 23 જિલ્લાઓમાં સેન્ટ્રલાઈઝ કિચન શરૂ કરવા આખોય પ્રોજેક્ટ તૈયાર કરાયો છે. જેના ભાગરૂપે 35 સેન્ટ્રલાઈઝ કિચન બાંધવા માટે 29 જિલ્લામાં કલેક્ટરોએ જમીન સુધ્ધાં ફાળવી દીધી છે. 27 સેન્ટ્રલાઈઝ કિચન બાંધવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં છે. અન્ય છ જિલ્લામાં કિચન માટે જમીન આપવાની પ્રક્રિયા ચાલુ છે. હવે જ્યારે ખાતમુહૂર્તની તૈયારી છે ત્યારે બધુ અટવાયુ છે. સેન્ટ્રલાઇઝ કિચનના સંચાલન માટે અક્ષયપાત્ર ફાઉન્ડેશન, ઇસ્કોન, સ્વામિ નારાયણ ગુરુકુળ-રાજકોટ, ભણસાલી ટ્રસ્ટ જેવા 14 સ્વૈચ્છિક સંસ્થા અને ટ્રસ્ટોની પસંદગી કરી એગ્રીમેન્ટ પણ કરી દેવાયાં છે.

આ સંસ્થા-ટ્રસ્ટો 23 જિલ્લામાં 35 સ્થળોએ સેન્ટ્રલાઇઝ કિચનમાં ગુણવત્તાયુક્ત ભોજન તૈયાર કરીને 11,389 શાળાઓ 16.25 લાખ વિદ્યાર્થીઓને જમાડશે. આ ઉપરાંત દિલ્હીથી સૂચના મળતાં આ પ્રોજેક્ટ માટે રાજ્યના નાણાં મંત્રાલયે કુલ મળીને 1982 કરોડ રૂપિયાના અંદાજો મંજૂર કર્યાં છે. છેવાડાના હજારો ગરીબ વિદ્યાર્થીને લાભ મળે તેવા ‘સેન્ટ્રલાઈઝ કિચન’ પ્રોજેક્ટ અટવાઈ પડ્યો છે. ખરેખર તો, આ પ્રોજેક્ટને લીધે ‘કુપોષણમુક્ત ગુજરાત’ અભિયાનને સફળતા મળે, સરકાર-પક્ષની વાહવાહી થાય તેમ છતાંય ગુજરાત સરકારને કઈ પડી નથી.

રાજ્ય સરકારે ભિલોડા, મેઘરજ, દિયોદર, થરાદ, આહવા, વાલિયા, ઘોઘા, બોડેલી, કલ્યાણપુર, રાપર, લખપત, સાંતલપુર, સમી, પોશીના, ખેડબ્રહ્મા, ચોટીલા, વ્યારા, ઝાલોદ, લીમખેડા, સંતરામપુર, ખાનપુર, ડેડિયાપાડા, ગરુડેશ્વર, ઉચ્છલ, શહેરા, ઉમરગામ, કપરાડા, સોનગઢમાં જમીન ફાળવી છે.

ભ્રષ્ટાચાર-ગોઠવણની ફરિયાદને લીધે તો મંત્રીમંડળમાં બદલાવ કરવો પડ્યો હતો. સચિવાલયમાં ચર્ચા છેકે, હજુ તો નવાસવા શિક્ષણમંત્રી બનેલાં પ્રધુમન વાજાને પણ ગોઠવણમાં રસ પડ્યો છે. સેન્ટ્રલાઇઝ કિચન પ્રોજેક્ટમાં શિક્ષણમંત્રીને પોતાના મળતિયા અને માનિતી સ્વૈચ્છિક સંસ્થાઓને કોન્ટ્રાક્ટ અપાવી ‘વહીવટ’માં રસ પડ્યો છે. 14 સ્વૈચ્છિક સંસ્થાઓની પસંદગી થઈ હોવા છતાંય શિક્ષણમંત્રીએ જ પ્રોજેક્ટમાં અડચણ ઊભી કરી ખુદ સરકારને બદનામી વ્હોરવી પડે તેવી સ્થિતી સર્જી છે.

સેન્ટ્રલાઇઝ કિચન પ્રોજેકટને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. હવે જ ફરીથી ટેન્ડર સહિત અન્ય પ્રક્રિયા હાથ ધરાય તેવું સ્થાપિત હિતો ઈચ્છી રહ્યાં છે. પણ જાણકારોનું કહેવુ છેકે, જો એકાદ મહિના પછી આખીય પ્રક્રિયા ફરીથી હાથ ધરાશે તો રાજ્ય સરકારને 100 કરોડ રૂપિયાથી વધુ આર્થિક ફટકો પડી શકે છે કેમ કે, કોન્ટ્રાક્ટરો વસ્તુઓના પાંચ ટકાથી વધુ ભાવ વધારો કરી શકે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here