જામનગરમાં સરલાબેન આવાસમાં રહેતી અને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતી પૂનમબેન સંજયભાઈ ઝાલા નામની પરણીત યુવતીએ પોતાને શારિરિક અને માનસિક ત્રાસ આપી પહેરેલા કપડે ઘરમાંથી હાંકી કાઢવા અંગે પોતાના પતિ અમદાવાદના દસક્રોઈમાં આઈટીઆઈમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવતા સંજય હરિભાઈ ઝાલા સામે ફરિયાદ નોંધાવી છે.
જામનગરના મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદના જણાવ્યા અનુસાર ફરીયાદી પુનમબેન કે જેના લગ્ન ગત 15.8.2021 ના રોજ થયા હતા. જે લગ્ન થકી તેણીને એક બાળકનો જન્મ થયો હતો. બાળકના જન્મના 19મા દિવસથી જ પતિ સંજયે ચારિત્ર્યની શંકા કુશંકા તેમજ અન્ય વાંક કાઢી ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું, અને મારકુટ કરીને પહેરેલા કપડે ઘરમાંથી હાંકી કાઢી હતી.

જેથી પૂનમબેન પોતાના પુત્ર સાથે જામનગર પોતાના માવતરે આવી ગઈ હતી, ત્યારબાદ પોતાનો માલ સામાન લેવાની જરૂર પડતાં પતિના ઘરે સામાન લેવા ગઈ હતી, જ્યાં પતિએ માથાકૂટ કરી હોવાથી સ્થાનિક પોલીસની મદદ લઈને પોતાનો સામાન મેળવવો પડ્યો હતો. જે લઈને જામનગર આવી હતી, અને ફેમિલી કોર્ટમાં પણ તેની સામે ફરિયાદ કરી હતી. જેના અલગ અલગ ત્રણ સેશનમાં પતિએ જામનગર આવ્યા સમયે પણ તેણીની સાથે તકરાર કરી હતી. આખરે આ મામલે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
