
સુરત શહેરમાં છેલ્લા કેટલાક વખતથી ખાણી પીણીમાં ભેળસેળની વાત બહાર આવી રહી છે અને દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે તેની અસર તહેવારો પર પણ જોવા મળી રહી છે. તહેવારોમાં બજારમાં મળતી મોંઘીદાટ મીઠાઈને બદલે હોમ મેઈડ મીઠાઈનો ટ્રેન્ડ શરૂ થયો છે. જેના કારણે અનેક મહિલાઓ અને સામાજિક સંસ્થાઓએ મીઠાઈ બનાવવાનું શરૂ કરતાં તેમને રોજગારી મળી રહી છે.
મોંઘવારી અને ભેળસેળથી બચવા સુરતીઓ હોમમેઇડ મીઠાઈ તરફ વળ્યા હોવાથી તહેવારોમાં અનેકને આવકનો નવો સ્ત્રોત ઉભો થયો છેઆગામી દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે આ ભાઈ બહેનના પ્રેમના આ તહેવારમાં મીઠાઈનું અનેરુ મહત્વ છે પરંતુ માર્કેટમાં મીઠાઈની દુકાનોમાં મળતી મીઠાઈ ગરીબ-મધ્યમ વર્ગના લોકોના ખિસ્સાને પોસાય તેમ નથી. આ ઉપરાંત સુરત શહેરમાં ફૂડ વિભાગની કામગીરી દરમિયાન બનાવટી ધી, બનાવટી માવો, બનાવટી પનીર સહિતની અનેક વસ્તુઓ બનાવટી હોવાનું સાબિત થયું છે.
છેલ્લા દોઢ વર્ષમાં તો પાલિકાએ લીધેલા નમૂનામાંથી 9 નમૂના અનસેફ એટલે કે ખાવા લાયક ન હોવાનું બહાર આવ્યું છે. મીઠાઈની બનાવટમાં ઘી અને માવો સૌથી મહત્વનું પરિબળ છે પરંતુ તે પણ બનાવટી હોવાનું બહાર આવ્યું છે અને સાથે બજારમા મળતી મીઠાઈની કિંમત પણ સતત વધી રહી છે તેના કારણે તહેવારની ઉજવણી પર અસર જોવા મળી રહી છે. તહેવાર પ્રિય સુરતીઓ રક્ષાબંધન સહિત અનેક તહેવારોની ઉજવણી મીઠાઈ સાથે કરી રહ્યાં છે પરંતુ હવે મોંઘવારી અને ભેળસેળથી બચવા હોમમેઇડ મીઠાઈ તરફ વળ્યા છે. જેનો સીધો ફાયદો ઘરે મિઠાઈ બનાવતી મહિલાઓ અને સામાજિક સંસ્થાઓને થઈ રહ્યો છે. શહેરમાં અનેક સામાજિક સંસ્થાઓ તહેવાર દરમિયાન સામુહિક મીઠાઈ બનાવી રાહતદરે વેચાણ કરે છે.
તો બીજી તરફ ઘરે મિઠાઈ બનાવતી મહિલાઓ પણ ઓર્ડરથી મીઠાઈઓ બનાવી રહી છે અને તેનું વેચાણ કરી રહી છે. આમ મોંઘવારી અને ભેળસેળને કારણે અનેક મહિલાઓ અને સામાજિક સંસ્થાઓ માટે મીઠાઈ બનાવી વેચાણ કરી આવકનો નવો સ્ત્રોત મળી ગયો છે.
રિપોર્ટર: સુનિલ ગાંજાવાલા, સુરત

