અમેરિકામાં ભારતીય દૂતાવાસે મેરીલેન્ડ રાજ્યના બાલ્ટીમોર શહેરમાં થયેલા દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. ત્રણ કિલોમીટર લાંબો ‘ફ્રાંસિસ સ્કોટ કી’ પુલ કન્ટેનર શિપની ટક્કરથી તૂટી પડ્યો હતો. જહાજમાં સવાર તમામ 22 ક્રૂ મેમ્બર ભારતીય હતા. આ તમામ સલામત છે. સિંગાપોર ધ્વજવાળું કાર્ગો જહાજ ડાલી શ્રીલંકાની રાજધાની કોલંબો જઈ રહ્યું હતું. બાદમાં, જ્યારે આ જહાજ બાલ્ટીમોરના ‘ફ્રાંસિસ સ્કોટ કી બ્રિજ’ સાથે અથડાઇ ગયું. ગણતરીની ક્ષણોમાં આખેઆખો પુલ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયો. અધિકારીઓએ જણાવ્યું કે પુલ તૂટીને લગભગ 50 ફૂટ (15 મીટર) નીચે ઠંડા પાણીમાં પડ્યો. આ દુર્ઘટના મંગળવારે સવારે સર્જાઇ હતી. અધિકારીઓએ એમ પણ કહ્યું હતું કે જહાજને ઇલેક્ટ્રિકલ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. ક્રૂ સક્રિય હતો અને એલર્ટ કોલ આપ્યો હતો, જેના કારણે બ્રિજ તરફ આગળ વધતા લોકોને રોકી દેવામાં આવ્યા હતા.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને પણ આ વાતની પુષ્ટિ કરી છે કે જહાજના ક્રૂએ અથડામણ પહેલા એલર્ટ જાહેર કર્યું હતું, જેનાથી ઘણા લોકોના જીવ બચી શક્યા. તેમણે જણાવ્યું કે, ‘જહાજ પર હાજર ક્રૂને આ વાતની જાણ થતાં જ તેઓ જહાજ પરથી નિયંત્રણ ગુમાવી ચૂક્યા છે, તેઓએ તુરંત જ મેરીલેન્ડ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશનને જાણ કરી. માહિતી મળતાની સાથે જ સ્થાનિક અધિકારીઓએ બ્રિજ પરનો વાહનવ્યવહાર બંધ કરી દીધો, જેના કારણે જ લોકોના જીવ બચી ગયા. USAમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. દૂતાવાસે લખ્યું છે કે “બાલ્ટીમોરના ફ્રાન્સિસ સ્કોટ બ્રિજ પર દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટનાથી પ્રભાવિત તમામ લોકો પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદનાઓ છે. એમ્બેસીએ ભારતીય નાગરિકો માટે હેલ્પલાઈન જાહેર કરી છે. તેમનું કહેવું છે કે આ હેલ્પલાઈન એવા લોકો માટે છે જેઓ આ અકસ્માતથી પ્રભાવિત થઈ શકે છે અથવા મદદની જરૂર પડી શકે છે. તો, દૂતાવાસ જહાજના ક્રૂને લગતી વિગતો પણ ચકાસી રહી છે.