અભિનેતા રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ના સેટ પર એક ચોંકાવનારી ઘટના બની છે. લદાખમાં ફિલ્મની શૂટિંગ ચાલી રહી હતી અને એ જ સમયે ટીમના સદસ્યોને ફૂડ પોઝનિંગ થયુ હતું .આ સ્થિતિમાં યુનિટના 100થી વધુ સદસ્યને લેહની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક અધિકારીએ જણાવ્યું કે ફૂડ પોઝનિંગની ઘટના બનતા પહેલાં લગભગ 600 લોકોએ ત્યાં ભોજન કર્યું હતું. આ ઘટના બાદ ‘ધુરંધર’ની શૂટિંગ પર રોક લાગી છે.
ફિલ્મ યુનિટના કર્મચારી શૂટિંગમાં વ્યસ્ત હતા, ત્યારે તેમાંથી ઘણા લોકોને અચાનક પેટમાં તીવ્ર દુ:ખાવો અને ઉલટી થઈ. ટીમના બધા સદસ્યને તાત્કાલિક લેહની સજલ નર્બુ મેમોરિ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરોએ જણાવ્યું કે આ સામૂહિક ફૂડ પોઝનિંગનો કેસ છે.
100થી વધુ સદસ્ય હોસ્પિટલમાં દાખલ
‘ધુરંધર’ના સેટ પર થયેલી આ ઘટનાની પુષ્ટિ કરતાં અધિકારીઓએ સોમવારે કહ્યું- ‘રવિવારે મોડી રાત્રે ફૂડ પોઝનિંગના શંકાસ્પદ કેસ બાદ એક બોલિવૂડ ફિલ્મ ક્રૂના 100થી વધુ સદસ્યને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફૂડ પોઝનિંગનું કારણ શોધવા ભોજનના સેમ્પલની વિગતવાર ચકાસણી કરવામાં આવી રહી છે’


