નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે (Giriraj Singh) કોંગ્રેસ (Congress) ના સાંસદ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. ગિરિરાજ સિંહે કહ્યું કે ઉધારનું નામ લેવાથી કોઈ ગાંધી ન થઈ જાય. હકીકતમાં તેમણે રાહુલ ગાંધી (Rahul Gandhi) ના રામલીલા મેદાનમાં યોજાયેલી ભારત બચાવો રેલીમાં અપાયેલા નિવેદન પર નિશાન સાધ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે હું મારા ભાષણ માટે માફી માંગીશ નહીં. મારું નામ રાહુલ સાવરકર નથી, મારું નામ રાહુલ ગાંધી છે.
ગિરિરાજ સિંહે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી (Sonia Gandhi) અને પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) નો ફોટો ટ્વીટ કરતા લખ્યું કે “વીર સાવરકર તો સાચા દેશભક્ત હતાં…ઉધારની સરનેમ લેવાથી કોઈ ગાંધી બની જતું નથી. કોઈ દેશભક્ત નથી બનતું. દેશભક્ત થવા માટે તો નસેનસમાં શુદ્ધ હિન્દુસ્તાન લોહી જોઈએ.” કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે “વેશ બદલીને અનેક લોકોએ હિન્દુસ્તાનને લૂંટ્યું છે પણ હવે નહીં એવું નહીં થાય. આ ત્રણ કોણ છે? શું આ ત્રણેય દેશના સામાન્ય નાગરિક છે?”
શું કહ્યું હતું રાહુલ ગાંધીએ?
અત્રે જણાવવાનું કે દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજિત ભારત બચાવો રેલીમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ભાજપ પર આક્રમક પ્રહારો કર્યા હતાં. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભાજપે મને કહ્યું કે હું મારા ભાષણ બદલ માફી માંગુ પરંતુ મારું નામ રાહુલ સાવરકર નથી, મારું નામ રાહુલ ગાંધી છે અને હું માફી નહીં માંગુ.
તેમણે કહ્યું હતું કે માફી તો નરેન્દ્ર મોદી (Narendra Modi) અને અમિત શાહે (Amit Shah) દેશની માંગવી જોઈએ. નોંધનીય છે કે ભાજપે માગણી કરી છે કે રાહુલ ગાંધી રેપ કેપિટલ (Rape Capital) વાળા નિવેદન પર માફી માંગે
રાહુલ ગાંધીએ નોટબંધીનો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે “મોદીજીએ તમને ખોટું કહ્યું છે કે કાળા નાણા વિરુદ્ધ લડત લડવાની છે. તેમણે જનતાના ખિસ્સામાંથી પૈસા કાઢ્યા અને અદાણી અને અનિલ અંબાણીને આપી દીધા.”