ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ તાજેતરની મોનિટરિંગ પોલિસીની બેઠક બાદ મહત્ત્વની જાહેરાત કરી છે. RBI એ રેપો રેટને 5.25% પર સ્થિર રાખવાનો નિર્ણય લીધો છે, જેનો સીધો અર્થ એ છે કે સામાન્ય જનતાના હોમ લોન કે કાર લોનના EMIમાં હાલ કોઈ વધારો કે ઘટાડો થશે નહીં. ગવર્નરે જણાવ્યું કે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ ભારતની અર્થવ્યવસ્થા મજબૂત છે અને મોંઘવારી દર 4%ની આસપાસ નિયંત્રણમાં રહ્યો છે, જે દેશના ઉદ્યોગો અને ગ્રાહકો માટે રાહતના સમાચાર છે.

GDP ગ્રોથના અંદાજમાં વધારો અને ભવિષ્યનું આયોજન
દેશની આર્થિક પ્રગતિ પર વિશ્વાસ વ્યક્ત કરતા RBIએ નાણાકીય વર્ષ 2025-26 માટે GDP ગ્રોથનો અંદાજ 7.3% થી વધારીને 7.4% કર્યો છે. ગવર્નરે સંકેત આપ્યા છે કે આગામી દિવસોમાં GDP અને મોંઘવારી માટે નવો ‘બેઝ યર’ જાહેર કરવામાં આવશે. બજેટ 2026ના પ્રોત્સાહક પગલાં અને ભારત-યુરોપિયન યુનિયન તેમજ ભારત-અમેરિકા વચ્ચેના સંભવિત વેપાર કરારોને કારણે નિકાસ ક્ષેત્રને મોટી મજબૂતી મળવાની આશા છે.
શેરબજારમાં ઘટાડો: રોકાણકારોમાં નિરાશા
RBIના આ નિર્ણય બાદ શેરબજારમાં નરમાશ જોવા મળી હતી. રેપો રેટમાં ઘટાડાની આશા રાખતા રોકાણકારોમાં વેચવાલી વધતા સેન્સેક્સ 340 પોઈન્ટ તૂટીને 83,000ની નીચે અને નિફ્ટી 150 પોઈન્ટ ઘટીને 25,500ની નીચે સરકી ગયા હતા. ખાસ કરીને બેન્કિંગ, ઓટો અને રિયલ એસ્ટેટ ક્ષેત્રના શેરોમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો, જેમાં BSE ઓટો ઈન્ડેક્સમાં 542 પોઈન્ટનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

