ઝારખંડમાં સરકારી ભરતી પરીક્ષાઓમાં થયેલી કથિત ધાંધલી અને અનિયમિતતાઓને લઈને સર્જાયેલા ભારે હોબાળા વચ્ચે મુખ્યમંત્રી હેમંત સોરેને એક મોટો અને કડક નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓના ઉગ્ર વિરોધ પ્રદર્શન અને વિધાનસભામાં વિપક્ષના સતત હંગામાને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે વિવાદિત ખાનગી એજન્સી TDPL દ્વારા આયોજિત તમામ ભરતી પરીક્ષાઓ અને તેની સમગ્ર પ્રક્રિયાને તત્કાલ અસરથી રદ કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.
2014 પછીની તમામ ગેરરીતિઓની થશે તપાસ
મુખ્યમંત્રી હેમંત સોરેને કેબિનેટ બેઠક બાદ સ્પષ્ટ કર્યું હતું કે વર્ષ 2014થી લઈને અત્યાર સુધી થયેલી તમામ નાની-મોટી ગેરરીતિઓ અને ભૂલોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. કેબિનેટે વિવાદમાં રહેલી JSSC-CGL પરીક્ષાને પણ રદ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે ઉમેર્યું હતું કે સરકાર પરીક્ષા પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા લાવવા માટે પ્રતિબદ્ધ છે. પરીક્ષાઓનું આયોજન યોગ્ય રીતે થાય તે માટે અગાઉથી જ Standard Operating Procedure (SOP) બનેલી છે, પરંતુ તેનું યોગ્ય પાલન ન થવાને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. ભવિષ્યમાં વધુ પારદર્શક સિસ્ટમ બનાવવા માટે એક સિનિયર IAS અધિકારીની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવશે.

વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ અને ઉજવણી
રાજ્ય સરકાર દ્વારા તમામ માંગણીઓ સ્વીકારી લેવાતાં JPSC અને JSSCની તૈયારી કરતા ઉમેદવારો તથા વિદ્યાર્થી સંઘોમાં ભારે ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો હતો. લાંબા સમયથી પોતાના હક માટે લડત ચલાવી રહેલા વિદ્યાર્થીઓએ ‘છત્ર એકતા ઝિંદાબાદ’ અને ‘આપણી માંગણીઓ પૂરી થઈ’ ના નારા લગાવીને રસ્તાઓ પર વિજય ઉત્સવ મનાવ્યો હતો.
