ગુજરાતમાં ચોમાસાની સિઝન અડધી પતવા આવી છે ત્યારે ખેડૂતોએ શરૂઆતમાં સારો વરસાદ થવાથી વાવેતર કર્યું છે. બીજી તરફ વરસાદ અચાનક ખેંચાઈ ગયો અને ખાતરની અછત ઉભી થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતાં.
રાજ્યમાં ખાતરની કાળા બજારી અને હેરાફેરીના અનેક બનાવો સામે આવ્યા હતાં. ખાતર માટે ખેડૂતોની લાઈનો લાગી હોવાના બનાવો પણ સામે આવ્યા હતાં. ત્યારે ખાતર માટે તરસતા ખેડૂતોએ સરકાર સામે બાંયો ચઢાવી હતી. આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં ખાતરનો મુદ્દો ચર્ચાયો હતો.
કેબિનેટની બેઠકમાં ખાતરની અછતના મુદ્દે ચર્ચા
આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ખાતરની અછતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ ખેડૂતોને ખાતર પુરૂ પાડવા સૂચના આપી હતી. તેમણે અધિકારીઓને એક સપ્તાહનું અલ્ટિમેટમ આપ્યું હતું.
એકપણ ખેડૂત ખાતરથી વંચિત ના રહે તે માટે આદેશ કર્યો હતો. કેન્દ્રમાંથી આવેલા જથ્થાને ખેડૂતો સુધી પહોંચાડવા સૂચના આપવામાં આવી હતી. મંત્રીઓ અને અધિકારીઓને મુખ્યમંત્રીએ સ્પષ્ટ સંદેશ આપ્યો હતો.
અત્યાર સુધીમાં સરેરાશ કુલ 82.35 ટકા વિસ્તારમાં ચોમાસુ વાવેતર
ગુજરાતમાં નોંધપાત્ર વરસાદના પરિણામે જગતના તાત એવા ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં સરેરાશ કુલ 82.35 ટકા વિસ્તારમાં ખરીફ –ચોમાસું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ 20 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર જ્યારે બીજા ક્રમમાં 6.65 લાખ હેક્ટરમાં સોયાબીન જ્યારે ત્રીજા ક્રમમાં 6.64 લાખ હેક્ટર વિસ્તારમાં મકાઈનું વાવેતર કરવામાં આવ્યું છે. રાજ્યના કુલ 206 ડેમમાંથી 52 ડેમ હાઈએલર્ટ એટલે કે 70 થી 100 ટકા વચ્ચે ભરાયા છે.


