સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા 63 વર્ષિય બ્રેઈનડેડ મહિલાના અંગોનું દાન કરવામાં આવ્યું છે. કિડની, લિવર અને ચક્ષુઓથી પાંચને નવું જીવન મળ્યું છે. શાંતિવન સોસાયટી વિભાગ-2, કવિતા સોસાયટીની સામે, સરથાણા જકાતનાકા ખાતે રહેતા પ્રભાબેન 1 ફેબ્રુઆરીના રોજ પ્રભાબેન સાંજે 6 કલાકે પોતાની સોસાયટીમાં સત્સંગ કરી રહ્યા હતા ત્યારે ચક્કર આવતા બેભાન થઇ ગયા હતાં. પરિવારજનોએ તેમને તાત્કાલિક વરાછામાં આવેલ આસ્થા હોસ્પિટલમાં દાખલ કરી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વિનસ હોસ્પિટલમાં ન્યુરોસર્જન ડૉ. હિતેશ ચિત્રોડાની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી. નિદાન માટે CT સ્કેન કરાવતાં બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. જેથી અંગદાનનો નિર્ણય કરતાં પાંચ વ્યક્તિઓને નવું જીવન મળ્યું છે.
બ્રેઈનડેડ જાહેર થયા બાદ અંગદાનનો નિર્ણય લેવાયો
બીજી ફેબ્રુઆરી મંગળવારના રોજ ન્યૂરોફિજીશિયન ડૉ.ગૌરાંગ ઘીવાલા, એનેસ્થેટીસ્ટ ડૉ.રવીશા શેઠ, RMO ડૉ.કલ્પના સવાણી અને મેડીકલ એડમિનિસ્ટ્રેટર ડૉ.નીરજ પટેલે પ્રભાબેનને બ્રેનડેડ જાહેર કર્યા હતાં. વિનસ હોસ્પીટલના RMO ડૉ.કલ્પના સવાણીએ ડોનેટ લાઈફ સંસ્થાના સંપર્ક કરી પ્રભાબેનના બ્રેઇનડેડ અંગેની જાણકારી આપી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી પ્રભાબેનના પતિ ધીરૂભાઈ, પુત્રો સંજય અને વિજય, રમેશભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. પ્રભાબેનના પુત્રોએ જણાવ્યું કે, અમારા માતા ધાર્મિક વૃતિના હતા. દરરોજ સત્સંગમાં જતા હતા. પરિવારે તેમના અંગદાન એક ઉત્તમ કાર્ય ગણાવીને સહમતિ આપી હતી.
અંગોના દાન કરવામાં આવ્યું
પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા SOTTO ના કન્વીનર ડૉ.પ્રાંજલ મોદીનો સંપર્ક કરી કિડની અને લિવરના દાન માટે જણાવ્યું. SOTTO દ્વારા કિડની અને લિવર અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre ને ફાળવવામાં આવ્યા. અમદાવાદની IKDRCના ડૉ.સુરેશ કુમાર અને તેમની ટીમે આવી કિડની અને લિવરનું દાન સ્વીકાર્યું. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકના ડૉ.પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું હતું..દાનમાં મેળવવામાં આવેલી બંને કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદનીIKDRCમાં ડૉ.પ્રાંજલ મોદી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
અંગદાનમાં પરિવારે સહકાર આપ્યો
અંગદાન મેળવવાની સમગ્ર પ્રક્રિયામાં પ્રભાબેનના પતિ ધીરુભાઈ, પુત્રો સંજય અને વિજય, પુત્રી દક્ષા, રમેશભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યો, ન્યુરોસર્જન ડૉ.હિતેશ ચિત્રોડા, ન્યૂરોફિજીશિયન ડૉ.ગૌરાંગ ઘીવાલા, એનેસ્થેટીસ્ટ ડૉ.રવીશા શેઠ, RMO ડૉ.વીરેન પટેલ અને ડૉ.કલ્પના સવાણી, મેડીકલ એડમિનિસ્ટ્રેટર ડૉ.નીરજ પટેલ, વિનસ હોસ્પીટલના સંચાલકો અને સ્ટાફ, ડોનેટ લાઈફના પ્રમુખ નીલેશ માંડલેવાલા, મંત્રી રાકેશ જૈન, પ્રોગ્રામ ઓફિસર સુભાષ જોધાણીનો સહકાર સાંપડ્યો હતો.