પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં તસ્કરો હવે બેફામ બન્યા છે. સામાન્ય ઘરો અને દુકાનો બાદ હવે ભગવાનના મંદિરો પણ સુરક્ષિત રહ્યા નથી. ગોધરાના તળાવ રોડ વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ ‘બાવાની મઢી’ મંદિરમાં ગત રાત્રિએ તસ્કરોએ ત્રાટકી ચોરીની ઘટનાને અંજામ આપતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

દાનપેટી તોડી રોકડની ચોરી
મળતી માહિતી અનુસાર, તસ્કરોએ મોડી રાત્રિના સમયે મંદિરમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ મંદિરની દાનપેટીઓના તાળાં તોડી તેમાંથી રહેલી રોકડ રકમની ચોરી કરી હતી અને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા. સવારના સમયે જ્યારે ભક્તો અને પૂજારી મંદિરે પહોંચ્યા ત્યારે દાનપેટીઓ તૂટેલી હાલતમાં જોવા મળતા ચોરીની આ ઘટના પ્રકાશમાં આવી હતી.
પુરાવા નાશ કરવાનો નિષ્ફળ પ્રયાસ
શાતિર તસ્કરોએ પકડાવાના ડરથી પુરાવા નષ્ટ કરવા માટે મંદિરના સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા હતા. જોકે, તેમ છતાં તસ્કરોની કેટલીક હરકતો અને ચોરી કરવાની પદ્ધતિ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જે પોલીસ તપાસમાં મહત્વની સાબિત થઈ શકે છે. ઘટનાની જાણ થતા જ ગોધરા શહેર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મંદિરના સંચાલકોની પૂછપરછ કરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું દબાવવાની તજવીજ હાથ ધરી છે.

