આઈસીસી T-20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 15 સભ્યોની ટીમમાં રિંકુ સિંહનો સમાવેશ કર્યો નહોતો. જોકે, આ બેટરને રિઝર્વ ખેલાડીઓની યાદીમાં રાખવામાં આવ્યો છે. એવી અટકળો હતી કે રિંકુ સિંહ ટીમમાં ફિનિશર તરીકે જોવા મળી શકે છે અને તેણે તાજેતરમાં જ શાનદાર પ્રદર્શન પણ કર્યું હતું, પરંતુ એવું બન્યું નહીં. આથી 15 સભ્યોની ટીમમાં રિંકુ સિંહનો સમાવેશ ન થતા રિંકુ સિંહના પિતાનું રિએક્શન સામે આવ્યું છે.
રિંકુ સિંહના પિતા થયા ભાવુક
રિંકુ સિંહના પિતાએ કહ્યું, “રિંકુને ટીમમાં સ્થાન મળે તે બાબતે અમને ઘણી અપેક્ષાઓ હતી પરંતુ સ્થાન ન મળતા થોડી ઉદાસી છે. અમે મીઠાઈ અને ફટાકડા પણ આ આશા સાથે લાવ્યા હતા કે તે ઈલેવનમાં રમશે. પરંતુ તેમ છતાં અમે ખુશ છીએ.” એ પછી રિંકુ સિંહના પિતાએ રિંકુ સિંહ સાથેની પોતાની વાતચીત બાબતે જણાવ્યું કે, ‘રિંકુએ તેની મમ્મીને કહ્યું કે મારું દિલ તૂટી ગયું છે એવું નથી. ઈલેવનમાં અને 15માં મારું નામ નથી, પણ 18માં છે, હું ત્યાં જઈ રહ્યો છું.”
રિંકુ સિંહે ટીમ માટે ફિનિશર તરીકે શાનદાર પ્રદર્શન કર્યું
26 વર્ષના બેટર રિંકુ સિંહે ટીમ માટે ફિનિશર તરીકે શાનદાર પ્રદર્શન કર્યું છે. T-20 ઈન્ટરનેશનલમાં રિંકુ સિંહે ભારત માટે માત્ર 15 મેચમાં 356 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 176 હતો. રિંકુ સિંહે બે ફિફ્ટી પણ ફટકારી છે. રિંકુ સિંહને વર્તમાન IPL 2024માં બેટિંગ કરવાની વધુ તક મળી નથી અને તેના કારણે પસંદગીકારોએ શિવમ દુબેને તક આપી છે.
T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (C), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (WK), સંજુ સેમસન (WK), હાર્દિક પંડ્યા (WC), શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ , કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
રિઝર્વ: શુભમન ગિલ, રિંકુ સિંઘ, ખલીલ અહેમદ, અવેશ ખાન.