T20 વર્લ્ડ કપ 2026માં ભારતની જીત બાદ ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરની ખૂબ પ્રશંસા થઈ રહી છે. તેના કાર્યકાળમાં ભારતે મર્યાદિત ઓવરના ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે અને ટીમે ફરી એક વાર ICC ખિતાબ જીત્યો છે. જોકે, આ વચ્ચે પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ ગંભીરને કેટલીક મહત્વપૂર્ણ સલાહ આપી છે. ગાંગુલીનું માનવું છે કે, ગંભીરમાં જીતવાનો જુસ્સો છે, પરંતુ તેણે પોતાનું વલણ થોડું નરમ રાખવાની જરૂર છે.

ગાંગુલીએ કહ્યું કે, ‘ગૌતમ ગંભીર ખૂબ જ સ્પર્ધાત્મક વ્યક્તિ છે અને તે કોઈપણ કિંમતે જીતવા માગે છે. આ જ બાબત તેને અન્ય લોકોથી અલગ બનાવે છે. જોકે તેના મતે ગંભીરને અસરકારક બનવા માટે વધુ પડતા સખ્ત કે કઠોર બનવાની જરૂર નથી.’ ગાંગુલીએ એમ પણ કહ્યું કે, ‘ગંભીર એક સારો વ્યક્તિ છે.’
‘ટીમ ફર્સ્ટ’ વિચારસરણીની પ્રશંસા
સૌરવ ગાંગુલીએ ગંભીરની એક વાતની ખૂબ પ્રશંસા પણ કરી. તેમણે કહ્યું કે, ગંભીરે ટીમમાં ‘ટીમ-ફર્સ્ટ’ માનસિકતાને મજબૂત બનાવી છે. આનો અર્થ એ છે કે ધ્યાન કોઈ એક સ્ટાર ખેલાડી પર નહીં, પરંતુ સમગ્ર ટીમના સામૂહિક પ્રદર્શન પર રહ્યું છે. આ કોઈપણ સફળ ટીમની મોટી ઓળખ હોય છે. ગાંગુલીનું માનવું છે કે ગંભીર આ મામલે સારું કામ કરી રહ્યો છે અને આ જ કારણે ભારતને સફેદ બોલ ક્રિકેટમાં સફળતા મળી છે.
ટેસ્ટ ક્રિકેટને અંગે પણ સલાહ આપી
ગાંગુલીએ આગળ કહ્યું કે, ગંભીરે ટેસ્ટ ક્રિકેટમાં પણ ભારતના પ્રદર્શન પર ખાસ ધ્યાન આપવું જોઈએ. તેમના મતે ભારત પાસે સારા ઝડપી બોલરો અને મજબૂત બોલિંગ આક્રમણ છે, તેથી તેમણે ઘરેલુ ટેસ્ટ મેચોમાં વધુ પડતા ટર્નિંગ ટ્રેક બનાવવાની માનસિકતામાંથી બહાર આવી જવું જોઈએ.
ગાંગુલીનું માનવું છે કે ભારતીય બોલરો સારી અને સંતુલિત પિચો પર પણ મેચ જીતીડી શકે છે. તેમણે ઈશારો કર્યું કે ઘરેલુ પરિસ્થિતિઓને ફક્ત સ્પિન હિસાબે તૈયાર કરવાની ટેવ લાંબા ગાળે નુકસાન પહોંચાડી શકે છે. જો ભારત ટેસ્ટ ક્રિકેટમાં સતત મજબૂત રહેવા માંગે છે, તો પિચોને દિમાગમાંથી કાઢી નાખવી પડશે.
2027 વર્લ્ડ કપ અસલી કસોટી
પૂર્વ કેપ્ટને એમ પણ કહ્યું કે, ગંભીરે અત્યાર સુધી સફેદ બોલ ક્રિકેટમાં સારું કામ કર્યું છે, પરંતુ તેની ખરી કસોટી 2027નો વનડે વર્લ્ડ કપ હશે. દક્ષિણ આફ્રિકાની પરિસ્થિતિઓ ભારત માટે સરળ નહીં હશે, તેથી કોચ અને ટીમ બંનેને ત્યાં એક અલગ પડકારનો સામનો કરવો પડશે.

