આજે બીજી ઓક્ટોબરે 154મી ગાંધી જયંતિ છે, ત્યારે આઝાદીના 76 વર્ષે ગાંધીના ગુજરાતમાં જ ખાદી વિસરાઈ રહી હોય એવું લાગી રહ્યું છે. ગુજરાતના ખાદી વણાટ કામ સાથે જોડાયેલા 13500 પરિવારો બેકારીની ગર્તામા ધકેલાયા છે. કારણ કે, એકબાજુ પાડોશી રાજ્ય રાજસ્થાને ખાદી વેચાણ પર 31મી જાન્યુઆરી સુધી ખાદી વેચાણ પર 50 % વળતર જાહેર કર્યું છે, જ્યારે ગુજરાત સરકારે 31મી ડિસેમ્બર સુધી માત્ર ઉત્પાદન પર જ સમખાવા પુરતું 20 % વળતર જાહેર કર્યું છે. એમાંય ખાદી વણાટ કામ સાથે જોડાયેલા 13500 પરિવારોમાંથી 95 % કારીગરો એકમાત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધાયેલા છે. જેને લઇને ખાદી અને ખાદી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને વધુ લાભ મળે તે માટે કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે.
ખાદીનું વેચાણ વધે તેમજ ખાદી ક્ષેત્ર સાથે સંકળાયેલાં લાખો આર્થિક-સામાજિક વંચિત કારીગર ભાઈઓ-બહેનો વધુ સ્વરોજગારી પ્રાપ્ત કરે તે આશયથી 02 ઑકટોબર 2023 – ગાંધી જયંતીથી ગુજરાતમાં ઉત્પાદિત ખાદી, ઊની, રેશમ અને પોલીવસ્ત્ર પર ઑકટોબર – નવેમ્બર – ડીસેમ્બર 2023. એમ ત્રણ માસ દરમિયાન 30% વિશેષ વળતર જાહેર કરવામાં આવે તેવો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી-પત્ર ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન અને ગુજરાત ખાદી ગ્રમોદ્યોગ સંસ્થા સંઘ દ્વારા લખવામાં આવ્યો છે.આ અંગે પાટડી કોંગ્રેસ ડેલિગેટ વિક્રમભાઈ રબારીએ આક્રોશ સાથે જણાવ્યું કે, આજે 2જી ઓક્ટોબર ગાંધી જયંતિ છે, ત્યારે ગુજરાત સરકારે ખાદીની ખરીદી પર માત્ર 20% વળતર જાહેર કર્યું છે. જ્યારે પાડોશી રાજ્ય રાજસ્થાન કે જ્યાં કોંગ્રેસની સરકારી છે, ત્યાં ખાદીની ખરીદીને પ્રોત્સાહન આપવા માટે ખાસ 50% રીબેટ એટલે કે વળતરની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ગુજરાતના ખાદી ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો કારીગરોને લાલ તમાચા સાથેની ક્રૂર મજાક કરવામાં આવી છે. ગાંધીના ગુજરાતમાં ખાદીની ખરીદી પર જ આવો અન્યાય કેમ ? ખાદીકામમાં રૂને કાંતીને પુણી બનાવ્યા બાદ કાપડનું વણાટકામ, કલરકામ અને ફિનીશીંગ સહિતની પ્રક્રિયાઓ કરવામાં આવે છે. આજેય પાટડી તાલુકાના બામણવા, ખારાઘોઢા, ઝીંઝુવાડા, ઘાસપુર, બજાણા અને ખેરવા સહિતના આજુબાજુના ગામડાઓનાં મળીને અંદાજે 400 જેટલા ગરીબ અને પછાત પરીવારો સુતર કાંતણી અને કાપડ વણાટકામ સહિતના ખાદી કામથી રોજીરોટી રળે છે.રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા ઘૂડખર સહિતના વિદેશી નયનરમ્ય પક્ષીઓને નિહાળવા વિદેશી પર્યટકો રણ વિસ્તારની મુલાકાતે આવે છે. ત્યારે આ વિદેશી પર્યટકોમાં પણ ગાંધીની ખાદીનો ગજબનો ક્રેઝ છે. તેઓ રણવિસ્તારની મુલાકાતે આવે એટલે યાદગાર સંભારણારૂપે ગાંધીની ખાદી અચૂક ખરીદે છે.