મોટા ઉદ્યોગો સફળતાની ગેરંટી નથી, બીજી તરફ વૈશ્વિકરણના યુગમાં હવે નાના ઉદ્યોગો પણ સફળતા મેળવી શકે છે તેમ કેન્દ્ર સરકારના પૂર્વ રેલવે , નાગરિક ઉડ્ડયન અને વાણિજ્ય મંત્રી સુરેશ પ્રભુએ કહ્યુ હતુ.વડોદરા સહિત મધ્ય ગુજરાતના ઔદ્યોગિક સંગઠન ફેડરેશન ઓફ ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ દ્વારા યોજાયેલા ૧૮મા એવોર્ડ ફોર એક્સેલન્સ કાર્યક્રમમાં હાજર રહેલા સુરેશ પ્રભુએ કહ્યુ હતુ કે, વૈશ્વિકરણ શબ્દ આજનો નથી.સદીઓ પહેલા પણ સિલ્ક રુટના રસ્તે ભારતના લોકો અન્ય દેશો સાથે વેપાર કરતા હતા.છેલ્લા કેટલાક દાયકાઓથી વૈશ્વિકરણ વ્યાપક બન્યુ છે પણ હવે પોતાને મુક્ત વેપાર વ્યવસ્થા તરીકે ઓળખાવતા દેશો પણ અસલામતી અનુભવતા થયા છે અને તેના કારણે તેમણે પણ અન્ય દેશો સાથેના વેપાર પર નિયંત્રણો મુકવા માંડયા છે.તેની સામે ટેકનોલોજીનો વિકાસ ઉદ્યોગોને આ પડકાર ઝીલવાનો તક આપી શકે છે.આગામી વર્ષોમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના કારણે વેપાર અને ઉદ્યોગમાં પણ ઘણા બદલાવ જોવા મળશે.
સુરેશ પ્રભુએ કહ્યુ હતુ કે, નાના ઉદ્યોગો અર્થતંત્રને આગળ વધારી રહ્યા છે તો હવે મોટા ઉદ્યોગો સફળતાની ગેરંટી નથી.મોટા ઉદ્યોગો સામેના પડકારો પણ મોટા હોય છે. દુનિયા સામે અને ઉદ્યોગો સામે અત્યારે સૌથી મોટુ જોખમ ક્લાઈમેટ ચેન્જનુ છે.ક્લાઈમેટ ચેન્જના કારણે ઘણા બદલાવો જોવા મળશે.ક્લાઈમેટ ચેન્જનુ જોખમ નવા સાહસિકો માટે તકો પણ ઉભી કરી શકે છે.નવા સાહસિકો કૃષિ સહિતના વિવિધ ક્ષેત્રોને નવા વિકલ્પો અથવા બદલાવોનો સામનો કરવા માટેની ટેકનોલોજી પૂરી પાડીને પણ વ્યવસાય કરી શકે છે.