અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) ઉત્તર પ્રદેશના નોઈડામાં પગાર વધારાની માંગ સાથે શરૂ થયેલું શ્રમિકોનું પ્રદર્શન બીજા દિવસે પણ અત્યંત હિંસક રહ્યું છે. સોમવારે 80થી વધુ સ્થળોએ 40 હજારથી વધુ ફેક્ટરી કર્મચારીઓ અને સુરક્ષા દળો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ હિંસાના મામલે અત્યાર સુધીમાં 300 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 100થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી છે.

યુપીના મંત્રીને પાકિસ્તાન કનેક્શનની આશંકા
આ હિંસામાં હવે એક નવો વળાંક આવ્યો છે. ઉત્તર પ્રદેશના શ્રમ મંત્રી અનિલ રાજભરે દાવો કર્યો છે કે આ હિંસા ભડકાવવા પાછળ વિદેશી તાકાતો અથવા ‘પાકિસ્તાની લિંક’ હોઈ શકે છે. હાલમાં જ પકડાયેલા કેટલાક આતંકવાદીઓના સંદર્ભમાં પોલીસ આ એન્ગલથી તપાસ કરી રહી છે કે શું શ્રમિકોને ઉશ્કેરવા પાછળ કોઈ ષડયંત્ર છે.
સરકારે વેતન વધાર્યું પણ શ્રમિકો સંતુષ્ટ નહીં
હિંસક દેખાવોને જોતા ઉત્તર પ્રદેશ સરકારે તાત્કાલિક અસરથી લઘુત્તમ વેતનમાં વધારો કર્યો છે.
અકુશળ શ્રમિકો: રૂ. 11,313 થી વધારીને 13,690
અર્ધ-કુશળ શ્રમિકો: રૂ. 15059
કુશળ શ્રમિકો: રૂ. 16868
શ્રમિકોની માંગ- 20થી 25 હજાર હોવો જોઈએ પગાર
આ વધારો 1 એપ્રિલ 2026થી લાગુ ગણવામાં આવશે. તેમ છતાં, શ્રમિકોની માંગ છે કે મોંઘવારીને જોતા પગાર ઓછામાં ઓછો 20થી 25 હજાર હોવો જોઈએ. કેટલાક અફવાખોરોએ શ્રમિકોને એવી ખોટી માહિતી આપી છે કે સરકારે 20 હજાર પગાર નક્કી કર્યો છે પણ માલિકો આપતા નથી, જેના કારણે રોષ વધ્યો છે.
ઘરકામ કરતી મહિલાઓએ પણ પથ્થરમારો કર્યો
માત્ર ફેક્ટરી જ નહીં, પણ હવે સેક્ટર 121 જેવી સોસાયટીઓમાં કામ કરતી મેડ (ઘરકામ કરતી મહિલાઓ) અને સફાઈ કામદારોએ પણ પગાર વધારાની માંગ સાથે પથ્થરમારો શરૂ કર્યો છે. નોઈડાના સેક્ટર 70 અને 80માં સ્થિતિ હજુ પણ તણાવપૂર્ણ છે અને ભારે પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.
