ડભોઇ-છોટાઉદેપુર વચ્ચે ઈલેક્ટ્રિક ટ્રેનનો 75 કિ.મી.ની સ્પીડે ટ્રાયલ થયો હતો. ટ્રાયલ થતા લોકોમાં ઉત્સુકતા પણ ટ્રેન સેવા શરૂ કરવાને બદલે રેલવે તંત્ર માત્ર મુદ્દત જ પાડવાનું કામ કરી રહી હોવાની ચર્ચા હતી. કોરોનાના કારણે 22 મહિનાથી વડોદરા-છોટાઉદેપુર-અલીરાજપુર સુધીની ટ્રેન રેલવે તંત્ર દ્વારા બંધ કરાઈ હતી.જેથી વડોદરાથી છોટાઉદેપુર, અલીરાજપુર સુધી જતા આવતા અનેક મુસાફરો પરેશાન બનેલા છે.
ખાનગી વાહનોમાં ખૂબ જ મોંઘો ભાડું ખર્ચવો પડે છે જ્યારે તેની સુવિધા સરળ, ઝડપી, આરામદાયક અને ખૂબ જ સસ્તી હોવાને કારણે ત્રણ સુવિધાનો લાભ બહોળી સંખ્યામાં મુસાફરો લેતા હતા પણ આ ટ્રેન બંધ થયા બાદ જાણે રેલવે તંત્ર આ ટ્રેનને શરૂ કરવાનું જ ભૂલી ગયો હોય એવી ચર્ચા સ્થાનિકોમાં ઉઠી રહી છે.
ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવા દ્વારા પણ બંધ થયેલી ટ્રેનની સુવિધા શરૂ કરવાની રજૂઆત મંત્રીને કરાઇ હતી પણ તેમ છતાં ટ્રેનની સુવિધા શરૂ થઈ નથી. જોકે તારીખ 26 જાન્યુઆરીના રોજ ડભોઈથી છોટાઉદેપુર સુધીની ઇલેકટ્રીક ટ્રેનનો ટ્રાયલ લેવાયો હતો. વડોદરા મંડલના પી.આર.ઓ. પ્રદીપભાઈ શર્માએ જણાવ્યું હતું કે,‘બપોરે 13.15 વાગ્યે ડભોઈથી છોટાઉદેપુર સુધી ખાલી મેમુ રેકનો ટ્રાયલ લેવામાં આવતાં 15.45 વાગ્યે છોટાઉદેપુર પહોંચી હતી. તેની મહત્તમ સ્પીડ 75 કિમી પ્રતિ કલાકની હતી. વિદ્યુતિકરણનું કામ છોટાઉદેપુર સુધી થયું છે.’