ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી અમેરિકા સાથે પરોક્ષ શાંતિ વાટાઘાટો માટે પાકિસ્તાન પહોંચ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ પાકિસ્તાની સત્તાવાળાઓ સાથે યુદ્ધવિરામ અને પ્રાદેશિક સુરક્ષા અંગે ચર્ચા કરશે. પાકિસ્તાન આ વાટાઘાટોમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યું છે અને ઈરાનના પ્રસ્તાવોને અમેરિકા સુધી પહોંચાડશે. બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ‘જોન્સ એક્ટ’ માં 90 દિવસની છૂટછાટ લંબાવી છે, જે આ પ્રક્રિયામાં એક હકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે.

ઈરાનની સત્તાવાર સમાચાર એજન્સી ‘ઈરના’ ના જણાવ્યા અનુસાર, અબ્બાસ અરાઘચીનો આ પ્રવાસ અત્યંત સંક્ષિપ્ત અને રણનીતિક રહેવાનો છે. પાકિસ્તાન સરકારના સૂત્રોએ પુષ્ટિ કરી છે કે અરાઘચી અને તેમનું પ્રતિનિધિમંડળ પાકિસ્તાની અધિકારીઓ સાથે તે દરખાસ્તો પર વિગતવાર ચર્ચા કરશે જે ઈરાન અમેરિકા સામે રાખવા માંગે છે. પાકિસ્તાન આ સમયે એક એવા સેતુ તરીકે કામ કરી રહ્યું છે જે પશ્ચિમ એશિયામાં યુદ્ધને અટકાવવા માટે બંને કટ્ટર હરીફ દેશોને વાટાઘાટોના ટેબલ પર લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. અરાઘચીએ પોતે પણ X (ટ્વિટર) પર સ્પષ્ટતા કરી છે કે પાકિસ્તાન ઉપરાંત તેઓ ઓમાન અને રશિયાની મુલાકાત પણ લેશે, કારણ કે પાડોશી દેશો અને પ્રાદેશિક શાંતિ તેહરાનની પ્રાથમિકતા છે.આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે હોર્મુઝના દરિયાઈ માર્ગે થતા ઈંધણના નિકાસમાં અવરોધ ઊભો થયો છે, જેના કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં અસ્થિરતા જોવા મળી રહી છે. અમેરિકી રક્ષા સચિવ પીટ હેગસેથે પણ એક બ્રીફિંગ દરમિયાન સંકેત આપ્યો છે કે ઈરાન પાસે અમેરિકા સાથે “સારું સમજૂતી” (Good Deal) કરવાનો અત્યારે શ્રેષ્ઠ અવસર છે. વોશિંગ્ટન ભલે આ મુલાકાત પર સીધી પ્રતિક્રિયા આપી રહ્યું નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા પ્રયાસો સૂચવે છે કે પડદા પાછળ મોટી તૈયારીઓ ચાલી રહી છે.પાકિસ્તાન માટે આ મુલાકાત રાજદ્વારી વિજય સમાન છે. ઈસ્લામાબાદ ઈચ્છે છે કે આ અઠવાડિયે જે શાંતિ વાટાઘાટો શરૂ થવાની હતી પરંતુ કોઈ કારણસર અટકી ગઈ હતી, તેને ફરી ગતિ મળે. પાકિસ્તાની અધિકારીઓ અરાઘચીને એ વાત માટે મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ઈરાન પોતાનું એક સત્તાવાર પ્રતિનિધિમંડળ વાટાઘાટોના બીજા રાઉન્ડ માટે મોકલે. શુક્રવારે વ્હાઇટ હાઉસ દ્વારા લેવાયેલો નિર્ણય પણ આ દિશામાં મહત્વનો છે, જેમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ‘જોન્સ એક્ટ’ માં 90 દિવસની રાહત આપી છે. આનાથી તેલ અને કુદરતી ગેસનું પરિવહન સરળ બનશે અને યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં આર્થિક રાહત મળી શકશે.

