પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલા ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના સ્વાત જિલ્લામાં શાંતિ રેલી દરમિયાન આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં અત્યાર સુધીમાં 14 લોકોના મોત નીપજ્યા છે અને 12થી વધુ લોકો ઘાયલ થયા છે.
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં રવિવારે એક શાંતિ રેલી દરમિયાન શક્તિશાળી વિસ્ફોટની ઘટના બનવા પામી હતી. માહિતી પ્રમાણે આ એક આત્મઘાતી હુમલો માનવામાં આવે છે.જોકે તંત્ર દ્વારા તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ચારેય તરફ સુરક્ષા દળોએ ઘેરાબંધી કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. વધુ મળતી માહિતી પ્રમાણે આ શાંતિ રેલીનું આયોજન સ્થાનિક આદિવાસી પરિષદ સ્વાત અમજ જર્ગા દ્વારા કરવામાં આવ્યું હતું.તાજેતરના મહિનાઓમાં આ વિસ્તારમાં બગડતી સુરક્ષા સ્થિતિ સામે અવાજ ઉઠાવવા અને શાંતિની માંગ કરવા માટે સેંકડો લોકો પ્લેકાર્ડ સાથે આ રેલીમાં જોડાયા હતા.

શંકાસ્પદ વ્યક્તિને રોકવાનો પ્રયાસ કરતા જ પોતાને ઉડાવ્યો
કાબલ ચોક પાસે ચાલી રહેલા આ પ્રદર્શન દરમિયાન, જ્યારે કાબલ પોલીસ સ્ટેશનના પ્રવેશદ્વાર પર પોલીસ અધિકારીઓએ એક શંકાસ્પદ વ્યક્તિને રોકીને તપાસ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે આત્મઘાતી બોમ્બરે પોતાની જાતને ઉડાવી દીધી હતી. આ શક્તિશાળી વિસ્ફોટ ત્યારે થયો જ્યારે રેલીના અંતિમ વક્તા ભીડને સંબોધિત કરી રહ્યા હતા, જેના કારણે કાર્યક્રમમાં નાસભાગ મચી ગઈ હતી અને ભયનો માહોલ છવાઈ ગયો હતો.ઘટનાની જાણ થતા જ બચાવ ટીમો અને પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો.તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની સૈદુ શરીફ ટીચિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.હાલમાં કોઈ પણ આતંકવાદી જૂથે આ કાયરताપૂર્ણ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.
આ પહેલા પણ થયા છે હુમલા
ઉલ્લેખનીય છે કે ખૈબર પખ્તુનખ્વામાં છેલ્લા કેટલાક સમયથી આતંકવાદી ગતિવિધિઓમાં સતત વધારો થઈ રહ્યો છે.આ જ દિવસની શરૂઆતમાં પેશાવર-ઇસ્લામાબાદ મોટરવે ટોલ પ્લાઝા પાસે પણ એક આઈઈડી (IED) વિસ્ફોટમાં બે પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.જ્યારે અગાઉ 30 જુલાઈના રોજ હંગુમાં થયેલા હુમલામાં નવ પોલીસકર્મીઓ શહીદ થયા હતા.આંકડાકીય માહિતી મુજબ, આ ક્ષેત્રમાં જૂન મહિનાની સરખામણીમાં જુલાઈમાં હિંસાની ઘટનાઓમાં 105 ટકાનો મોટો ઉછાળો જોવા મળ્યો છે.

