ઈરાન પરના હુમલા બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો ખુલાસો કરતા જણાવ્યું છે કે તેમને આ યુદ્ધ શરૂ કરવા માટે પ્રોત્સાહન અને સલાહ કોણે આપી હતી. અત્યાર સુધી એવી ચર્ચાઓ હતી કે નેતન્યાહૂએ ટ્રમ્પને આ હુમલા માટે ઉકસાવ્યા છે, પરંતુ ટ્રમ્પે મીડિયા સમક્ષ સ્પષ્ટ કર્યું છે કે તેમના વોર સેક્રેટરી પીટ હેગસેથ તે પ્રથમ વ્યક્તિ હતા જેમણે ઈરાન સામે સૈન્ય કાર્યવાહી કરવાની સલાહ આપી હતી. ટ્રમ્પે જણાવ્યું કે તેમણે પોતાના દિગ્ગજ મંત્રીઓ અને જનરલ કેન સાથે ઈરાન અંગેની ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે ઈરાન છેલ્લા 47 વર્ષથી આતંક ફેલાવી રહ્યું છે અને તે પરમાણુ હથિયાર બનાવવાની ખૂબ જ નજીક છે.

ટ્રમ્પનો મોટો ખુલાસો: પીટ હેગસેથની સલાહ પર ઈરાન સામે છેડાઈ જંગ
ટ્રમ્પના જણાવ્યા અનુસાર, તેમણે પોતાના નેતાઓ સામે બે વિકલ્પ મૂક્યા હતા: કાં તો અમેરિકા આગળ વધીને આ સમસ્યાને મોટી થવા દે અથવા તો અત્યારે જ હસ્તક્ષેપ કરીને મિડલ ઈસ્ટની આ મોટી સમસ્યાનો અંત લાવે. આ દરમિયાન પીટ હેગસેથે સૌથી પહેલા અવાજ ઉઠાવ્યો હતો અને ઈરાનને પરમાણુ હથિયાર બનાવતા રોકવા માટે હુમલો કરવાનું સમર્થન કર્યું હતું. ટ્રમ્પે આ અંગે વધુમાં કહ્યું કે આ વ્યૂહાત્મક વાતચીત અને પ્લાનિંગ હુમલાની એક-બે રાત પહેલા જ શરૂ થઈ ગયું હતું, જેના પરિણામે અમેરિકા અને ઈઝરાયલ દ્વારા સંયુક્ત રીતે આક્રમણ કરવામાં આવ્યું.
યુદ્ધના 25 દિવસ: ઈરાનના અનેક દિગ્ગજ નેતાઓએ ગુમાવ્યા જીવ
નોંધનીય છે કે 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર ભીષણ બોમ્બમારો કરવામાં આવ્યો હતો, જેમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈનું મૃત્યુ થયું હતું. આ યુદ્ધને હવે 25 દિવસ વીતી ચૂક્યા છે અને આ સમયગાળા દરમિયાન ઈરાનના અનેક દિગ્ગજ નેતાઓએ જીવ ગુમાવ્યા છે. ટ્રમ્પના આ તાજેતરના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ઈરાન વિરુદ્ધની આ આખી વ્યૂહનીતિમાં પીટ હેગસેથની ભૂમિકા અત્યંત મહત્ત્વની રહી છે.

