જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લાના દ્રાસ ખાતે ચાલી રહેલા સુરક્ષાદળોના એનકાઉન્ટરમાં 3 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. તે ત્રણેય આતંકવાદી જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે. મંગળવારે સાંજના સમયે સુરક્ષાકર્મીઓ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી અને તે સિવાય મૂલુ ખાતેની અથડામણમાં પણ એક આતંકવાદી ઠાર મરાયો છે.
જે આતંકવાદીઓનું આજે એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે તેમણે 2 ઓક્ટોબરના રોજ પુલવામાના પિંગલાના ખાતે સીઆરપીએફ અને પોલીસના જોઈન્ટ ટ્રુપ્સ પર ગોળીઓ ચલાવી હતી. એડીજીપી કાશ્મીર વિજય કુમારના કહેવા પ્રમાણે માર્યા ગયેલા આતંકવાદીઓ હનાન બિન યાકૂબ અને જમશેદ તાજેતરમાં જ થયેલી એસપીઓ જાવેદ ડારની હત્યા અને 24 સપ્ટેમ્બરના રોજ પુલવામા ખાતે એક પશ્ચિમ બંગાળના મજૂરની હત્યા થઈ હતી તેમાં સામેલ હતા.
ગૃહમંત્રી અમિત શાહના જમ્મુ કાશ્મીર પ્રવાસના પહેલા, રવિવારના રોજ આતંકવાદીઓએ પુલવામાના પિંગલાના ખાતે સીઆરપીએફ અને પોલીસના સંયુક્ત દળ ઉપર ગોળીબાર કર્યો હતો. તે આતંકવાદી હુમલામાં પોલીસકર્મી SPO જાવેદ અહમદ ડાર શહીદ થયા હતા અને સીઆરપીએફના એક જવાનને ઈજાઓ પહોંચી હતી.