મોરબી દુર્ઘટનામાં 141 લોકોના મોત થયા છે અને રેસ્ક્યુ ઓપરેશન ચાલું છે. આ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે જણાવ્યું કે, ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પર બનેલો બ્રિજ તૂટ્યો એ ખૂબ જ હૃદય દ્રાવક ઘટના છે. મોરબીમાં બનેલી ઘટનાથી દેશ સ્તબ્ધ છે. આ ઘટના બાદ અનેક સવાલો ઉભા થયા છે. કોંગ્રેસે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યો છે અને તેમની સામે અનેક સવાલો ઉભા કર્યા છે. ખેરાએ કહ્યું કે, અમે સવાલ નહીં કરીશું તો લોકો અમને માફ નહીં કરે. સુપ્રીમ કોર્ટ નિષ્પક્ષ રીતે તપાસ કરે તેવી માંગ કરવામાં આવી છે.
કોંગ્રેસે બીજેપી પર પ્રહાર કરતા કહ્યું કે, લાલ બૂહાદુર શાસ્ત્રીએ ટ્રેન દુર્ઘટના બાદ વડા પ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું. હવે સવાલ એ છે કે, ગુજરાતના મુખ્યમંત્રી રાજીનામું આપશે કે તેમને કાઢી મૂકવામાં આવશે? PM મોદી ગુજરાત પ્રવાસે છે ત્યારે મોદી પર પણ પ્રહાર કરવામાં આવ્યો હતો. પીએમ મોદીએ આજના કાર્યક્રમો શરૂ રાખ્યા એ જાણીને દુ:ખ થયું છે. ગુજરાત વડા પ્રધાન મોદીની જન્મભૂમિ છે કર્મ ભૂમિ છે. તેમ છતાં આજે પીએમ ટોપી પહેરીને સંબોધન કરે એ ખૂબ જ દુ:ખદાયક છે.
ખેરાએ કહ્યું કે, હવે સરકાર મોરબીથી લોકોનું ધ્યાન ભટકાવવાના તમામ પ્રયત્નો કરશે. ભલે કોઈ મરી જાય તેનાથી સરકારને કોઈ ફરક નથી પડતો. વધુમાં જણાવ્યું કે, આ સમય રાજનીતિનો નથી પરંતુ અમારે સવાલ પૂછવા પડશે નહીંતર કેટલાય લોકોના જીવ જશે. આ વાત પર કોઈ ધ્યાન ન અપાયું કે, પુલ પર 500 લોકો આવી શકે કે, નહીં. પુલ પર ભીડ ભેગી કરી તેના માટે કોણ જવાબદાર છે? આ મામલે FIR નોંધવામાં આવી પરંતુ તેમાં કોઈના નામનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. કોંગ્રેસે આ દુર્ઘટનામાં આશરે 190 લોકોના મોત થયા હોવાનો દાવો કર્યો છે.