ગાંધીનગર: મોરવા હડફના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સસ્પેન્ડ કર્યા હતા. વિધાનસભાની મોરવા હડફની અનુસૂચિત જનજાતિ અનામત બેઠક પરથી ખાંટે આદિવાસી સમાજનું પ્રમાણપત્ર રજૂ કરી ઉમેદવારી નોંધાવી ચૂંટણી જીત્યા હતા. જેની સામે ભાજપના હારેલા ઉમેદવારે પ્રમાણપત્ર રદ કરવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેની પર હાલ કોર્ટ કાર્યવાહી ચાલી રહી છે.વિધાનસભા અધ્યક્ષે જણાવ્યું હતું કે, ભૂપેન્દ્ર ખાંટનું પ્રમાણપત્ર ચાલી શકે તેમ નથી. ધારાસભ્ય તરીકે રહી શકે તેમ નથી. ખાંટનું પ્રમાણપત્ર ખોટું ઠર્યુ છે. અમે ચૂંટણીપંચનો પણ અભિપ્રાય લીધો છે. ગઈકાલે 2જી મેથી ખાંટ સસ્પેન્ડ ગણાશે. તેની સામે ભૂપેન્દ્રસિંહ ખાંટ સુપ્રિમ કોર્ટમાં જવાની તૈયારી દર્શાવી છે.
ભાજપના હારેલા ઉમેદવારે પ્રમાણપત્ર રદ્દ કરવા ફરિયાદ કરી હતી: ભૂપેન્દ્રસિંહ સામે હારેલા ભાજપના ઉમેદવાર વિક્રમ ડિંડોરે આદિજાતિ વિકાસ વિભાગને ફરિયાદ કરી હતી કે, ભૂપેન્દ્રસિંહ ખાંટ આદીવાસી સમાજમાંથી નહીં પરંતુ ઓ.બી.સી. (અધર બેકવર્ડ ક્લાસ)માં સમાવિષ્ટ થતી જ્ઞાતિમાંથી આવે છે તેથી તેમની પાસે રહેલું આદીજાતિનું પ્રમાણપત્ર રદ થવું જોઈએ. આદિજાતિ વિકાસ કમિશનરની સ્ક્રૂટિની સમિતિ સમક્ષ મોકલવામાં આવી હતી.
એક જ પરિવારમાં બે જ્ઞાતિના પ્રમાણપત્ર: ભૂપેન્દ્રસિંહના પિતા ઓ.બી.સી. સમુદાયના છે અને માતા આદીજાતિ સમુદાયના છે. જો કે ભૂપેન્દ્રસિંહના બાળકો અને ભાઈઓ ઓ.બી.સી.નું પ્રમાણપત્ર ધરાવે છે. તેમના લગ્નસંબંધો પણ ઓ.બી.સી. સમુદાયમાં જ છે. જેની સામે ભૂપેન્દ્રસિંહ તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે પિતાએ તેમને નાનપણમાં તરછોડ્યા હોવાથી તેમની માતાએ મોસાળમાં તેમનો ઉછેર કર્યો હતો, જેથી તેઓ આદીજાતિ સમુદાયના છે તેવું કહી શકાય.
સુપ્રિમે મોસાળમાં રહે તો માતાની જ્ઞાતિનું પ્રમાણપત્ર માન્ય રાખ્યું છે: સુપ્રિમ કોર્ટના ચુકાદા પ્રમાણે જો કોઈ બાળકનો ઉછેર તેના મોસાળમાં જ થયો હોય અને તેની માતાની જ્ઞાતિ તેના સ્વીકારની સત્તાવાર મંજૂરી આપે તો તે બાળકને તેની માતાની જ્ઞાતિનું પ્રમાણપત્ર મળી શકે છે.
ખાંટ પુરાવા ના આપતા આદિજાતિ વિભાગે પ્રમાણપત્ર રદ કર્યુ: આ પ્રકારનો કોઈ પુરાવો ભૂપેન્દ્રસિંહ રજૂ કરી શક્યા નહોતા ઉપરાંત સ્ક્રૂટિનીમાં બહાર આવ્યું હતું કે ભૂપેન્દ્રસિહનો અભ્યાસ તેમના પિતાના ગામમાં થયો છે, તો મોસાળમાં ઉછેરની વાત પર પણ સવાલ ઊભા થયા હતા. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી આદીજાતિ વિકાસ કમિશનરે ભૂપેન્દ્રસિંહનું આદીજાતિનું પ્રમાણપત્ર રદ કર્યુ હતું.