સર્જિકલ સ્ટ્રાઈકને લઈને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. જોકે હવે દિગ્વિજયસિંહને કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીનું સમર્થન મળ્યું છે. દિગ્વિજય સિંહના નિવેદન પર કોંગ્રેસ નેતાએ કહ્યું કે, અમને સર્જિકલ સ્ટ્રાઈક પર સેના પર વિશ્વાસ છે. જ્યારે સરકાર કહી રહી છે કે, અમારી પાસે વીડિયો છે અને દિગ્વિજય સિંહ કહી રહ્યા છે કે, વીડિયો બતાવો તો પછી છુપાવવાની શું જરૂર છે? તમે દેશની માફી માગો અને કહો કે અમારી પાસે વીડિયો નથી.
કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ કહ્યું કે, તમે કહ્યું કે 250-300 લોકોના મોત થયા છે. સુષ્મા સ્વરાજ આપણીવચ્ચે નથી, તેમણે કહ્યું હતું કે, અમે એવી જગ્યા પર સર્જિકલ સ્ટ્રાઈક કરી છે જ્યાં કોઈની હત્યા ન થાય. યુપીના સીએમએ કહ્યું હતું કે, 400 લોકોના મોત થયા છે. તો હવે કોના પર વિશ્વાસ કરવો. સરકારે વીડિયો બતાવવો જોઈએ જેથી જે શંકા પેદા થઈ રહી છે તે જાણી શકાય.
મહત્વનું છે કે, આ પહેલા મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે કહ્યું હતું કે, ભાજપ સરકારે દેશમાં ભાઈ-ભાઈઓને અલગ કરવાનું કામ કર્યું છે. પુલવામા (કાશ્મીર) આતંકવાદનું કેન્દ્ર બની ગયું છે, જ્યાં દરેક વાહનની તપાસ કરવામાં આવે છે, પરંતુ એક વાહન ચેકિંગ કર્યા વિના વિરુદ્ધ દિશામાંથી આવે છે અને સુરક્ષા જવાનોના કાફલા સાથે અથડાય છે, જેમાં આપણા 40 CRPF જવાનો શહીદ થાય છે.