પીપળાનું ઝાડ એકમાત્ર એવું છે જેમાં બધા જ દેવી દેવતાઓનો વાસ હોય છે. શનિ દોષથી લઈ દુર્ભાગ્યને પણ પીપળાની પૂજા કરીને દૂર કરી શકાય છે. તેમાં પણ શનિવારે પીપળાની પૂજા કરવામાં આવે તો સૌભાગ્યવૃદ્ધિ થાય છે. પીપળાની પરિક્રમા કરવાનું પણ વિશેષ મહત્વ હોય છે. આ સિવાય તંત્ર શાસ્ત્રમાં પણ પીપળાના પાનના અનેક ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ઉપાયો કરવામાં સરળ અને અસરકારક હોય છે.
કોઈપણ વ્યક્તિ હોય તેને જીવનમાં ધનની જરૂરિયાત સૌથી વધારે હોય છે. પીપળાના આ ઉપાય આર્થિક સ્થિતિમાં સુધારો કરવા માટે પણ અચૂક હોય છે. આ ઉપાય માટે શનિવારે સાંજે શનિદેવની પૂજા કરી પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો કરવો.
ત્યારપછી તે પીપળામાંથી થોડા પાન તોડી ઘરે લાવો અને તેને ગંગાજળથી સાફ કરો. એક વાટકીમાં થોડા પાણીમાં હળદર ઉમેરવી અને પાણીથી સ્વચ્છ કરેલા પાન પર હ્રીં શબ્દ અનામિકા આંગળીથી લખવો.
ઘરના મંદિરમાં આ પાન રાખી અને દીવો ધૂપ કરી અને પૂજા કરો. ઈષ્ટદેવનું ધ્યાન ધરી અને મનોકામના પૂરી થાય તેવી પ્રાર્થના કરવી. આ પાનને તિજોરીમાં અથવા પર્સમાં રાખી દેવું. ધીરે ધીરે તમે અનુભવશો કે આવકના સ્ત્રોતમાં વધારો થઈ રહ્યો છે. દરેક માસના કોઈપણ એક શનિવારે આ ઉપાય કરતાં રહેશો તો જીવનમાં ધનની ખામી નહીં સર્જાય.