વડોદરા શહેરના સમતા વિસ્તારમાં આવેલા નારાયણનગરમાં રહેતા 35 વર્ષીય સિક્યુરીટી ગાર્ડની હત્યાને પગલે ચકચાર મચી ગઇ છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આ મામલે મૃતકના ભત્રીજાની પૂછપરછ શરૂ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
મહિલાએ પૂછતા ભત્રીજાએ કહ્યું કે, મારા કાકાને કોઇકે મારી દીધા છે
વડોદરા શહેરના સમતા વિસ્તારમાં આવેલા નારાયણનગરમાં રહેતી મહિલાએ લક્ષ્મીપુરા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, સોમવારે રાત્રે 11:30 વાગ્યે હું ઘરે હાજર હતી તે વખતે બાજુમાં રહેતો છોકરો દિપેન્દ્ર પાંડે દાદરમાં બેસીને રડી રહ્યો હતો, જેથી તેને પૂછતા જણાવ્યું હતું કે, મારા કાકાને કોઇકે મારી દીધા છે અને મેં બહાર આવી જોયું તો લાકડાનો દરવાજો ખુલ્લો હતો અને લોહીલુહાણ હાલતમાં એક વ્યક્તિ ઉંધા માથે ઘરમાં પડ્યો હતો, જેથી મે પોલીસને જાણ કરતાં લક્ષ્મીપુરા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી. તપાસ કરતા ચપ્પુ જેવા હથિયારથી યુવકના ઘા ઝીંક્યા હોવાનું બહાર આવ્યું હતું. બે દિવસ અગાઉ મૃતક કાકાએ તોફાન કરતા ભત્રીજાએ પોલીસના હવાલે કર્યાં હતા.
બે દિવસ અગાઉ મૃતક અમરેન્દ્ર પાંડેએ દારૂ પીને ધમાલ કરી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતક અમરેન્દ્ર પાંડેને તેના વતનમાં પણ કેસ ચાલે છે અને બે દિવસ અગાઉ અમરેન્દ્ર પાંડેએ દારૂ પીને ધમાલ કરી હતી. જેથી તેના ભત્રીજા દિપેન્દ્ર પાંડેએ પોલીસમાં ફોન કરતા પોલીસ અમરેન્દ્રને પકડીને લઇ ગઇ હતી, ત્યારબાદ અચાનક સોમવારે રાત્રે કોઇ અજાણ્યા શખ્સોએ અમરેન્દ્ર પાંડેની હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે.
પોલીસે ભત્રીજા પર શંકા હોવાથી પૂછપરછ શરૂ કરી
બે દિવસ અગાઉ મૃતક અમરેન્દ્ર પાંડેનો ઝઘડો થયો હતો, જેથી ભત્રીજા દીપેન્દ્ર પાંડેએ કાકાને પોલીસના હવાલે કર્યાં હતા. દરમિયાન સોમવારે રાત્રે થયેલા હુમલામાં કોઇ વ્યક્તિએ અમરેન્દ્ર પાંડેને મોતને ઘાટ ઉતારી દેતા દોડી આવેલી પોલીસે શંકાને આધારે ભત્રીજાની સઘન પૂછપરછ હાથ ધરી છે. હાલ તેના કોવિડ રિપોર્ટની તજવીજ શરૂ કરી છે.