અમદાવાદના કૃષ્ણનગરમાંથી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. કૃષ્ણનગર બીઆરટીએસ બસ સ્ટોપ પાસે બસ ચાલક દ્વારા એક રાહદારીને ટક્કર મારવામાં આવી હતી. જોકે, ટક્કર એટલી જોરદાર હતી કે, વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતુ. બસ ચાલક અકસ્માત બાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, અમદાવાદના કૃષ્ણનગર બીઆરટીએસ બસ સ્ટોપ પાસે બીઆરટીએસ બસ દ્વારા એક રાહદારીને ટક્કર મારવામાં આવી હતી. વૃદ્ધ નરેન્દ્ર સિંહ બદ્રા પોતાની દૈનિક કાર્યક્રમ મુજબ, વહેલી સવારે ગુરૂદ્વારા જવા નીકળ્યા હતા અને રોડ ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવતી બીઆરટીએસ બસે રાહદારીને ટક્કર મારી અને બાદમાં બસ મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જોકે, ટક્કર એટલી જોરદાર હતી કે, વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
પોલીસે હાથ ધરી તપાસ
અકસ્માત બાદ, સ્થાનિકો દ્વારા તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સ અને પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે, એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલાં જ તેમનું મૃત્યુ થઈ ચુક્યું હતું. પોલીસે હાલ આ મામલે અકસ્માતનો ગુનો દાખલ કર્યો છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે આ મામલે આસપાસના લોકોની પૂછપરછ અને સીસીટીવી ફૂટેજના આધારે વધુની તપાસ હાથ ધરી છે.



