આમોદ નગરમાં ગણેશ વિસર્જન યાત્રાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આમોદને સંવેદનશીલ નગર ગણીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે આજે વિસર્જન રૂટ પર ફ્લેગ માર્ચ યોજીને શાંતિ અને સુરક્ષાનો સંદેશ આપ્યો હતો.
આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયાએ તમામ પોલીસ જવાનોને જરૂરી સૂચનો આપ્યા હતા અને સંવેદનશીલ ધાર્મિક સ્થળો તથા ધાબા પોઈન્ટ્સ પર ખાસ ધ્યાન રાખવાની સૂચના આપી હતી. આ ઉપરાંત, પોલીસે વિસર્જન રૂટ પર આવતા તમામ ધાબાઓનું પણ ચેકિંગ કર્યું હતું.
ગણેશ વિસર્જનની શ્રીજીની શોભાયાત્રા માટે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં 1 DySP, 5 PI, 9 PSI, 70 SRP જવાનો, 200 પોલીસ જવાનો, 100 હોમગાર્ડ, GRD અને બ્લેક કમાન્ડો સહિત કુલ 385 જવાનોનો વિશાળ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. આ વિશાળ પોલીસ કાફલાએ આમોદ પોલીસ સ્ટેશનથી વિસર્જન રૂટ પર ફ્લેગ માર્ચ યોજી હતી, જેનો મુખ્ય હેતુ નાગરિકોને સુરક્ષાની ખાતરી આપવાનો અને કાયદો તથા વ્યવસ્થા જાળવવાનો હતો.


