ગાંધીનગર શહેરના પ્રવેશદ્વાર સમા રક્ષા શક્તિ બ્રિજ નીચે વસવાટ કરીને ગંદકી ફેલાવતા પરિવારોને અન્ય સ્થળે ખસી જવા ટ્રાફિક પોલીસે સૂચના આપતા તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના બહાર આવી છે. ઘાયલ જવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ સંદર્ભે ગુનો દાખલ કરવાની તજવીજ પણ કરવામાં આવી છે.

ગાંધીનગરમાં છેલ્લા થોડા સમયથી ટ્રાફિક સિગ્નલો ઉપર ભિક્ષુકોની સંખ્યા વધી છે ત્યારે આ પરિવારો બ્રિજ નીચે વસવાટ કરી રહ્યા છે. ખાસ કરીને રક્ષા શક્તિ બ્રિજ નીચે છેલ્લા ઘણા સમયથી આ પરિવારો રહે છે અને અહીં જ રોજિંદી ક્રિયાઓ કરતા હોવાથી ગંદકી પણ ફેલાય છે. આ માર્ગ પાટનગરનો પ્રવેશ માર્ગ હોવાથી અવારનવાર વીઆઈપીઓ પણ આવતા હોય છે. આ સ્થિતિમાં ટ્રાફિક પોલીસ દ્વારા કોર્પોરેશનની સૂચનાને પગલે આ પરિવારોને અહીંથી હટી જવા માટે આજે સવારના સમયે સૂચના આપવામાં આવી હતી. જોકે પોલીસ દ્વારા તેમને દૂર જવાનું કહેવામાં આવતા આ પરિવારના પુરુષો અને મહિલા સભ્યો દ્વારા હાજર ટ્રાફિક જવાનો ઉપર હુમલો કરી દેવામાં આવ્યો હતો. જેના પગલે ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ સ્થાનિક પોલીસ સહિતની ટીમ દોડી આવી હતી અને હુમલો કરનારા વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી તો ઘટનામાં ઘાયલ જવાનને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે પોલીસ ઉપર આ પરિવારો દ્વારા હુમલો કરવામાં આવ્યો ત્યારે મોટી સંખ્યામાં આસપાસના લોકો પણ આવી ગયા હતા. હાલ પોલીસ દ્વારા આ પરિવારના ત્રણેક જેટલા પુરુષો સામે ગુનો દાખલ કરવાની તજવીજ શરૃ કરવામાં આવી છે. ગાંધીનગરમાં આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ કરતા વ્યક્તિઓ સામે કડક હાથે કામ લેવું જરૃરી લાગી રહ્યું છે.

