ધ્રાંગધ્રા પંથકમાં કમોસમી વરસાદ બાદ રોગચાળાએ ફરી એક વખત માથું ઉચક્યું છે. તાવ, શરદી, ઉધરસ અને ગળામાં તકલીફના દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેના ભાગરૂપે આરોગ્ય વિભાગમાં પણ દોડધામ થવા પામી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ૦૪ દિવસથી કમોસમી વરસાદે ખેડૂતોના પાકને તો નુકશાન કર્યું જ છે પરંતુ હવે દર્દીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જેમાં ધ્રાંગધ્રા શહેરની સરકારી હોસ્પિટલ ખાતે વાઇરલ ઇન્ફેકશનના દર્દીઓની ભીડ જોવા મળે છે. ધ્રાંગધ્રા શહેરની માત્ર એક સરકારી હોસ્પિટલની ઓપીડીમાં જ દરરોજ ૧૦૦ થી વધુ દર્દીઓની સંખ્યા જોવા મળે છે. તેમજ ખાનગી હોસ્પિટલોમાં ઓપીડી સહિત લગભગ દરરોજ ૧૫૦થી વધુ વાઇરલ ઇન્ફેક્શનની ઓપીડી નોંધાઈ રહી છે. ડોક્ટરોએ પાણીને ઉકાળ્યા બાદ જ સેવન કરવું સાથે જ બહારની ચીજવસ્તુઓ આરોગવાની ટાળવી જોઈએ સહિતની સાવચેતી રાખવા જણાવ્યું છે.

