પંચમહાલ જીલ્લાના શહેરા નગર પાલિકામાં આવેલા સાત ગામોને સમાવેશ કરવાને લઈને વિરોધ વધી રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે.તાલુકાના સાત ગામોમાંથી આવેલા લાભી ગામના ગ્રામજનોએ નગરપાલિકામા નહી જોડાવાને લઈને વિરોધ દર્શાવીને શહેરા મામલતદાર અને ગોધરા ખાતે નાયબ કલેકટરને પણ આવેદનપત્ર આપ્યુ હતુ.

શહેરા તાલૂકાના લાભી ગ્રામ પંચાયતને નગરપાલિકામાં વિસ્તારમાં ન સમાવેશ કરવાને લઈને ગ્રામજનોએ સોમવારના રોજ શહેરા મામલતદાર ધર્મેન્દ્ર પટેલને આવેદનપત્ર આપ્યુ હતુ.આવેદનપત્રમાં જણાવયુ હતુ કે,અમો લાભી ગ્રામીણ વિસ્તારમાં રહીએ છે. અમારા ગામમાં આવેલા કાચા- પાકા મકાનો બિલકુલ છુટાછવાયા છે. અમારુ ગામ નગરપાલિકા વિસ્તારમાં જવાથી કોઈ વિકાસના કામો જેવા કે વીજળી તથા પાણી તથા રસ્તાઓને પુરા ગામ વિસ્તારને સાંકળી શકાય તેમ નથી. તથા અમારા ગામની નાગરિકી મોટા ભાગે નાની મોટી છૂટક મજૂરી કામ સાથે સંકળાયેલા છે. અમારુ ગામ આર્થિક રીતે પછાત છે.જેથી અમારા ગામના લોકો નગરપાલિકાના વેરો ભરી શકે તેવી પરિસ્થિતીમાં નથી. જેથી અમારા ગામની વિનંતી છે કે અમારા લાભી ગામને નગરપાલિકા વિસ્તારમાં ન સમાવેશ કરવામા આવે તેવી અમારી અરજ છે.
આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

