એન્ડ્રોઈડના 13થી 16 સુધીના વર્ઝનમાં બગ આવી ગઈ હોવાનું સામે આવ્યું છે. સરકારની સાઈબર સુરક્ષા એજન્સી ઈન્ડિયન કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમે મોબાઈલ યુઝર્સને ચેતવણી આપી છે. મોબાઈલમાં શંકાસ્પદ એક્ટિવિટી જણાતી હોય તો તુરંત સાઈબર સુરક્ષાની તરકીબ અજમાવવાની સલાહ આપવામાં આવી છે. ગૂગલે પણ સાવધાની માટે નવું અપડેટ આપ્યું છે.

દેશની સાઈબર સુરક્ષા એજન્સીએ એન્ડ્રોઈડ 13થી લઈને એન્ડ્રોઈડ 16 સુધીના વર્ઝનમાં બગ હોવાનું ઓળખી કાઢ્યું છે. ગૂગલ એન્ડ્રોઈડમાં આઈડીએસ, ક્વાલકોમ, મીડિયાટેક, એનવીડિયા, બ્રોડકોમ અને યુનીસોકના રેફરન્સ નંબર્સમાં પણ ખતરો જોવામાં આવ્યો છે. તેનો અર્થ એ કે સમસ્યા માત્ર એન્ડ્રોઈડ પૂરતી સીમિત નથી. સ્માર્ટફોનના હાર્ડવેર અને ડ્રાઈવર લેયરમાં પણ ગરબડ સર્જાઈ હોવાની શક્યતા છે.પ્રોસેસરમાં ખામી સર્જાઈ હોવાથી ભારતમાં ઘણી કંપનીઓના સ્માર્ટફોન યુઝર્સ પર હેકિંગનો ખતરો છે. જો હેકર્સને મોબાઈલની નબળાઈની બરાબર કડી મળી જશે તો કરોડો યુઝર્સ પર સાઈબર હુમલો થઈ શકે છે. આ બાબતની ગૂગલને પણ જાણ થઈ છે. ગૂગલે એન્ડ્રોઈડમાં બગ રહ્યાનું સ્વીકારીને પેચ રીલિઝ કર્યો છે. ડિસેમ્બર-૨૦૨૫નું સિક્યોરિટી અપડેટ કરવાથી જોખમ ટળી જાય છે. યુઝર્સને નવું અપડેટ ઈગ્નોર ન કરવાની સલાહ સાઈબર એક્સપર્ટ્સે આપી હતી.
દેશની સાઈબર સુરક્ષા એજન્સી ઈન્ડિયન કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમે કહ્યું હતું કે આ ખતરાથી મોબાઈલના પર્ફોરમન્સમાં ફરક પડી શકે. ડિવાઈસને નુકસાન સુદ્ધાં થઈ શકે. એનાથી બચવા માટે લેટેસ્ટ અપડેટ ઈન્સ્ટોલ કરો. યુઝર્સને એવી સલાહ પણ આપી હતી કે થર્ડ પાર્ટી એપ અને અજાણી લિંક પર જઈને ક્લિક કરવાથી બચવું જોઈએ. ગૂગલ પ્લે સ્ટોરમાં જે એપ ન હોય અને કોઈ વેબસાઈટમાંથી ડાઉનલોડ કરવાથી જ જેનો ઉપયોગ થતો હોય એનાથી સાવધાન રહેવું જોઈએ.

