ભાવનગર મહાપાલિકામાં પાણી વેરો નહીં ભરવા માટે કેટલાક લોકો દ્વારા ગેરકાયદે નળ કનેક્શન લેવામાં આવતા હોય છે અથવા મોટી સાઇઝના કનેક્શન લઈ લેવામાં આવતા હોય છે ત્યારે મહાપાલિકાએ તપાસ હાથ ધરી છે અને ગેરકાયદે નળ કનેક્શન કાપવામાં આવી રહ્યા છે.

ભાવનગર શહેરમાં ગેરકાયદે નળ કનેક્શનના મામલે મહાપાલિકાએ અઠવાડીયાથી તપાસ હાથ ધરી છે, જેમાં પપ૭ નળ કનેક્શન ચેક કરવામાં આવ્યા છે અને ગેરકાયદે ર૦ કનેક્શન કાપવામાં આવ્યા છે. મહાનગરપાલિકા દ્વારા શહેરમાં દૈનિક ધોરણે તેમજ પૂરતા પ્રમાણમાં પાણી સપ્લાય કરવામાં આવે છે પરંતુ વોટર વર્કસ વિભાગનાં ચેકિંગ દરમિયાન શહેરમાં અમુક લોકો દ્વારા ગેરકાયદે રીતે એકથી વધુ કનેક્શનો લીધેલ હોવાનું કે મોટી સાઈઝના કનેક્શન લીધેલ હોવાનું ધ્યાન પર આવ્યુ છે, આવા કિસ્સાઓ નિવારવા અને તેનો યોગ્ય દંડ વસુલાય તે માટે વોટર વર્કસ વિભાગ દ્વારા હાલ આવા ગેરકાયદે કનેક્શનો કાપવાની ઝુંબેશ હાથ ધરેલ છે, જે અંતર્ગત શહેરમાં તબક્કાવાર એક પછી એક વિસ્તારોમાં ચકાસણી કરવામાં આવી રહી છે અને ગેરકાયદે કનેક્શનો કાપવામાં આવી રહ્યા છે. આ ઝુંબેશ આગામી સમયમાં પણ કાર્યરત રહેશે. વગર મંજુરીએ કનેક્શન લીધેલ હોય તો તેને નિયમાનુસાર રેગ્યુલરાઈઝ થઇ શકે તેમ હોય તો વોટર વર્કસ વિભાગની કચેરીએ નિયત દંડ/ચાર્જ ભરી રેગ્યુલરાઈઝ કરાવી લેવા તેમજ ગેરકાયદે રીતે એકથી વધુ કે મોટી સાઈઝના કનેક્શન લીધેલ હોય તો તેને તત્કાલ જ દૂર કરવા મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારીએ જણાવેલ છે.
દંડનાત્મક કાર્યવાહી પણ કરાશે : અધિકારી
ભાવનગર મહાપાલિકાના વોટર વર્કસ વિભાગનાં ચેકિંગ દરમિયાન જો આવા કોઈપણ ગેરકાયદે કનેક્શન ધ્યાનમાં આવશે તો વિભાગ દ્વારા તેને કટ કરી યોગ્ય દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેમ મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારી ફાલ્ગુન શાહે માહિતી આપતા જણવોલ છે.
વગવાળા વ્યકિતઓના ઘરે મોટી સાઇઝના કનેક્શન હોવાની શકયતા
ભાવનગર શહેરમાં રાજકીય સહિતના વગવાળા વ્યકિતઓના ઘરે મોટી સાઇઝના નળ કનેક્શન હોવાથી શકયતા છે ત્યારે આ બાબતે પણ તપાસ કરી યોગ્ય પગલા લેવા જરૂરી છે અને જો મોટી સાઇઝના કનેક્શન મળે તો તેના નામ પણ તંત્રએ જાહેર કરવા જોઈએ તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે.

